આતંકવાદીઓના બે મદદગારોની ધરપકડ : આ બે મદદગારની ઓળખ પહલગામના બટકોટમાં રહેતા પરવેઝ અહમદ જોથર અને હિલ પાર્કના બશીર અહમદ જોથર રૂપે થઈ

પહલગામ, શનિવાર : પહલગામ આતંકી હુમલામાં નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (NIA)ને એક મોટી સફળતા હાંસલ થઈ છે. તપાસ એજન્સીએ આ ઘાતક હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરનારા બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આ બે મદદગારની ઓળખ પહલગામના બટકોટમાં રહેતા પરવેઝ અહમદ જોથર અને હિલ પાર્કના બશીર અહમદ જોથર રૂપે થઈ છે.
પૂછપરછમાં આ બંને જણે ત્રણ હુમલાખોરોની ઓળખ કરી હતી. જેથી ખાતરી થઈ છે કે, તેઓ પ્રતિબંધિત આતંકી જૂથ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની નાગરિક હતા. પરવેઝ અને બશીરે આતંકવાદીઓને જાણી જોઈને આશ્રય આપ્યો હતો. તેમને ભોજન અને માલ-સામાન પૂરો પાડ્યો હતો. અહીં રહ્યા બાદ આતંકવાદીઓએ પર્યટન સ્થળની રેકી કરી હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના મોત થયા હતાં. જ્યારે અનેક ઘાયલ થયા હતાં.પહલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોને ધર્મ પૂછી ગોળીથી વિંધ્યા હતાં. જેમાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતાં. એનઆઈએએ આતંકવાદીઓને આશરો આપનારા બે લોકો પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કલમ 19 હેઠળ કેસ નોંધ્યો છે. RC-02/2025/NIA/JMU હેઠળ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી છે.










