ઈરાનના ન્યુક્લિયર સાઈટ પર હુમલા બાદ ખામેનેઈ ભડક્યા: ઈઝરાયેલને કડક ધમકી, અમેરિકાનું નામ ટાળ્યું

ઈરાનની ન્યુક્લિયર સાઈટ્સ પર હુમલા અને ત્યારબાદ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના વળતા હુમલાઓએ મિડલ ઈસ્ટમાં સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. વૈશ્વિક સ્તરે આ સંઘર્ષને રોકવા અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો તેજ બન્યા છે.

તેહરાન, સોમવાર
અમેરિકા દ્વારા ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઈટ્સ પર થયેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. આ હુમલાથી ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈ અત્યંત ગુસ્સે થયા છે, જોકે તેમણે પોતાના નિવેદનમાં અમેરિકાનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. બીજી તરફ, ઈરાને ઈઝરાયેલ પર હવાઈ હુમલા વધુ તેજ કર્યા છે, જેના કારણે પ્રાદેશિક સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે.

ખામેનેઈનું કડક નિવેદન
ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પરના હુમલા બાદ આયતુલ્લાહ ખામેનેઈનું પહેલું ઓફિશિયલ નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર લખ્યું છે કે, “ઝાયોની દુશ્મનોએ બહુ મોટી ભૂલ કરી છે. આ એક બહુ મોટો અપરાધ છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ઈઝરાયેલને સજા મળવી જ જોઈએ, અને તેને સજા મળી પણ રહી છે.” જોકે, આ સમગ્ર નિવેદનમાં તેમણે અમેરિકાનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું, જેના પરથી કહી શકાય કે ઈરાન હાલમાં અમેરિકા સાથે સીધા સંઘર્ષને ટાળવા માંગે છે. જોકે, એવી અટકળો ચાલી રહી છે કે ઈરાન અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.

ઈઝરાયેલ પર “ખુર્રમશહર-4” મિસાઈલોનો હુમલો
ઈરાને ઈઝરાયેલ પરના હુમલા તેજ કરી દીધા છે. ઈરાને પોતાની સૌથી ઘાતક અને લાંબા અંતરની મિસાઈલ “ખુર્રમશહર-4” જેને ખૈબર મિસાઈલ પણ કહેવાય છે, તેનો ઉપયોગ કર્યો છે. આ મિસાઈલની રેન્જ 2,000 કિલોમીટર છે અને તે 1,500 કિલોગ્રામનો વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. છેલ્લા 24 કલાકમાં ઈરાને ઈઝરાયેલ પર 40થી વધુ બેલેસ્ટિક મિસાઈલો દાગી છે.

ઈઝરાયેલમાં વ્યાપક નુકસાન અને જાનહાનિ
ઈરાની મિસાઈલોના હુમલાથી ઈઝરાયેલના હાઈફા અને તેલ અવીવ સહિત અનેક શહેરોમાં વ્યાપક તબાહી થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, 86થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈરાનની મિસાઈલો ઈઝરાયેલના અનેક શોપિંગ સેન્ટર્સ, રહેણાંક વિસ્તારો અને મિલિટરી ટાર્ગેટ્સ પર પણ પડી છે, જેના કારણે ભારે નુકસાન થયું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!