ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના બની. 280 લોકો સાથે વહાણમાં અચાનક આગ લાગી. આગ લાગ્યા બાદ આખા જહાજમાં અરાજકતા ફેલાઈ ગઈ.

નવી દિલ્હી,રવિવાર: ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે એક મોટી દુર્ઘટના બની. 280 લોકો સાથે વહાણમાં અચાનક આગ લાગી. આગ લાગ્યા બાદ આખા જહાજમાં અરાજકતા ફેલાઈ ગઈ. લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. અકસ્માતનો ભોગ બનેલા જહાજનું નામ KM બાર્સેલોના 5 છે. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઇન્ડોનેશિયન ફ્લીટ કમાન્ડના કમાન્ડર વાઇસ એડમિરલ દાનિહ હેન્દ્રાટાએ જણાવ્યું હતું કે બાર્સેલોના 5 જહાજ તાલૌદથી ઉત્તર સુલાવેસી પ્રાંતની રાજધાની માનાડો જઈ રહ્યું હતું, ત્યારે તાલિસે નજીક તેમાં આગ લાગી. નૌકાદળના ત્રણ જહાજો બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
એડમિરલ હેન્દ્રાટાએ જણાવ્યું હતું કે બચાવ કામગીરીમાં સ્થાનિક માછીમારોની પણ મદદ લેવામાં આવી રહી છે. તેમણે તોફાની પાણીમાં નજીકના ટાપુઓ તરફ તરી રહેલા કેટલાક લોકોને બચાવ્યા હતા. તેમણે કહ્યું કે બચાવ ટીમે એક ગર્ભવતી મહિલા સહિત પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હેન્દ્રાટાએ કહ્યું, “અમે હજુ પણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”
અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે
એડમિરલ હેન્દ્રાટાએ કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સી દ્વારા જાહેર કરાયેલી તસવીરો અને વીડિયોમાં, જહાજમાં આગ લાગ્યા પછી મુસાફરો સમુદ્રમાં કૂદતા જોવા મળે છે અને તેમાંથી મોટાભાગના લોકો લાઇફ જેકેટ પહેરેલા છે. જહાજમાં ભીષણ આગ લાગી છે અને કાળો ધુમાડો નીકળતો જોવા મળે છે.











