હવે BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લા વર્ચ્યુઅલી મીટિંગમાં હાજરી આપશે : રાજકીય અશાંતિ અને અસ્થિરતાનાં કારણે ભારતીય બોર્ડને પડોશી દેશનો પ્રવાસ કરવા અંગે શંકા છે

ન્યુ દિલ્હી, ગુરુવાર : એશિયા કપ 2025ને લઈ ચાલતી અનિશ્ચિતતાને વચ્ચે BCCIએ ACCની ઢાકામાં યોજાનારી બેઠકનો બહિષ્કાર ન કરવાનો નિર્ણય લીધો છે. હવે BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લા વર્ચ્યુઅલી મીટિંગમાં હાજરી આપશે. રાજકીય અસ્થિરતાને કારણે BCCI એ બાંગ્લાદેશની યાત્રા ટાળી છે. આ બેઠકમાં ટુર્નામેન્ટના યજમાન દેશ વિશે નિર્ણય થઈ શકે છે, જેમાં UAE મુખ્ય દાવેદાર તરીકે આગળ છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 24 જુલાઈએ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની વાર્ષિક બેઠકનો બહિષ્કાર ન કરવાનો નિર્ણય લીધો છે. BCCI હવે PCB પ્રમુખ મોહસીન નકવીની અધ્યક્ષતામાં યોજાનારી આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે. જોકે, BCCIના અધિકારીઓ બાંગ્લાદેશની મુલાકાત લેશે નહીં.
‘BCCIનું પ્રતિનિધિત્વ તેના ઉપપ્રમુખ રાજીવ શુક્લા દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવશે, જે ACC બોર્ડના નામાંકિત સભ્ય પણ છે. એશિયા કપના સ્થળ અંગે અંતિમ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી, તેથી જ BCCI એ વર્ચ્યુઅલી મીટિંગમાં હાજરી આપવાનો નિર્ણય લીધો છે.’રાજકીય અશાંતિ અને અસ્થિરતાનાં કારણે ભારતીય બોર્ડને પડોશી દેશનો પ્રવાસ કરવા અંગે શંકા છે. આથી જ BCCIએ ઓગસ્ટમાં જ બાંગ્લાદેશનો પ્રવાસ મુલતવી રાખ્યો અને અગાઉ ટુર્નામેન્ટનું સ્થળ બદલવાની વિનંતી પણ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાંગ્લાદેશના ઢાકામાં યોજાનારી બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેવાનો નિર્ણય લીધો છે. તેમજ આ નિર્ણયને એશિયા કપ 2025ના સ્થળ અંગેની અનિશ્ચિતતાને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. એશિયા કપ 2025નું આયોજન UAE માં કરવામાં આવી શકાય છે. જેમાં UAE માં દુબઈ, અબુ ધાબી અને શારજાહ જેવા ક્રિકેટ મેદાન છે. આ ઉપરાંત UAE પહેલા પણ 2018 અને 2022માં એશિયા કપનું આયોજન કરી ચૂક્યું છે. બીજી તરફ, ભારત બાંગ્લાદેશની યાત્રા નહીં કરે, જેથી શ્રીલંકા પણ યજમાનીની રેસમાં બીજા સ્થાને છે











