શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘેની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સરકારી નાણાંના અંગત ઉપયોગનો આરોપ છે. આ મામલાની સંપૂર્ણ વિગતો જાણો.

શ્રીલંકા, શુક્રવાર
શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘેની તાજેતરમાં ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી સપ્ટેમ્બર 2023માં લંડન યાત્રા સંબંધિત પૂછપરછ બાદ કરવામાં આવી છે. આ યાત્રા દરમિયાન તેમણે તેમની પત્નીના સન્માનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
શું છે સમગ્ર મામલો?
એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, વિક્રમસિંઘે પર દેશના સંસાધનોનો વ્યક્તિગત ઉપયોગ કરવાનો આરોપ છે. પોલીસના દાવા મુજબ, વિક્રમસિંઘેએ હવાનામાં G-77 સમિટમાં હાજરી આપીને પરત ફરતી વખતે લંડનમાં રોકાણ કર્યું હતું. આ સમયે તેમણે અને તેમની પત્ની મૈત્રીએ વુલ્વરહેમ્પટન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વિક્રમસિંઘેએ સ્પષ્ટતા કરી હતી કે આ યાત્રાનો ખર્ચ તેમની પત્ની દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમાં સરકારી ફંડનો ઉપયોગ થયો ન હતો. જોકે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની લંડન યાત્રા માટે સરકારી નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમના બોડીગાર્ડને પણ સરકારી તિજોરીમાંથી પગાર મળતો હોવાનો ખુલાસો થયો છે.
આ આક્ષેપોના આધારે, વિક્રમસિંઘેને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસની વધુ વિગતો અને કાર્યવાહી હજુ આવવાની બાકી છે. આ ઘટનાએ શ્રીલંકાના રાજકારણમાં ભારે હલચલ મચાવી છે અને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વેગ આપ્યો છે.











