દિલ્હીના રોહિણી સેક્ટર-૧૮ નજીક શાહબાદ દૌલતપુર વિસ્તારમાં ભીષણ આગ લાગતાં અનેક ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી

રવિવારે સાંજે દિલ્હીના રોહિણી સેક્ટર-૧૮ નજીક શાહબાદ દૌલતપુર વિસ્તારમાં ભીષણ આગ લાગતાં અનેક ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહબાદ દૌલતપુર સ્થિત બંગાળી બસ્તીમાં લગભગ ૪૦ થી ૪૫ ઝૂંપડીઓ આગમાં લપેટાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંજે ૭.૦૧ વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી, ત્યારબાદ ૧૦ ફાયર એન્જિન મોકલવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ દોઢ કલાકમાં એટલે કે રાત્રે ૮.૩૦ વાગ્યે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર એન્જિનની સાથે દસ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ અને રાહત કામગીરી પર નજર રાખવા માટે દિલ્હી ફાયર સર્વિસ, પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ જાણી શકાયું નથી. આ મામલાની તપાસ ચાલી રહી છે.
શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે નોઈડા ફેઝ 2 પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-110 સ્થિત લોટસ પનાસ સોસાયટીમાં એક ફ્લેટની બાલ્કનીમાં અચાનક આગ લાગી ગઈ. આગ લાગી ત્યારે ફ્લેટ બંધ હતો અને માલિક ક્યાંક બહાર ગયો હતો. ફાયર બ્રિગેડ વાહનની મદદથી માત્ર દસ મિનિટમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
ચીફ ફાયર ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે શનિવારે મોડી સાંજે કંટ્રોલ રૂમમાંથી સેક્ટર-110 સ્થિત એક સોસાયટીમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. અજ્ઞાત કારણોસર ફ્લેટની બાલ્કનીમાં આગ લાગી હતી. સદનસીબે, આમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ ફેલાતા પહેલા જ કાબુમાં આવી ગઈ હતી. જો સમયસર આગ ઓલવવામાં ન આવી હોત, તો તે અન્ય ફ્લેટમાં ફેલાઈ શકી હોત.










