- થાણેને એકનાથ શિંદેનો વિસ્તાર માનવામાં આવે છે
- પોલીસે 5 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો
- આજે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવા જઈ રહી
મહારાષ્ટ્ર, શનિવાર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે મુંબઈ પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. રાજકીય ઉથલપાથલ વચ્ચે પોલીસ પ્રશાસને પોલીસ સ્ટેશનોને એલર્ટ જાહેર કરી દીધા છે. રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને શિવસેનાના જુદા જુદા જૂથો વચ્ચેના સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને, થાણે જિલ્લા વહીવટીતંત્રે 30 જૂન સુધી થાણે જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ અને ભીડ અથવા સૂત્રોચ્ચાર વગેરે પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. છે. આ સાથે પોલીસે કોઈપણ પ્રકારના રાજકીય પોસ્ટર બનાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પોલીસ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાની સાથે લાકડીઓ અને કોઈપણ પ્રકારના હથિયાર ન રાખવા જોઈએ. પોલીસના આદેશ મુજબ જો કોઈ વ્યક્તિ લાકડીઓ, તલવારો, ભાલા, બંદૂક, છરી અને પથ્થરો કે કોઈપણ પ્રકારના હથિયાર સાથે મળી આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના એકઠા થવા અને સૂત્રોચ્ચાર કરવા પર સખત પ્રતિબંધ છે. કોઈપણ એક જગ્યાએ 5 થી વધુ લોકો એકઠા ન થાય તે માટે આ વિસ્તારમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. કલમ-144 સંદર્ભે કલેકટરે ગઈકાલે રાત્રે આદેશો જારી કર્યા છે.
તમને જણાવી દઈએ કે થાણેને એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. અહીં તેમના સમર્થકો અને શિવસેનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ પ્રશાસને આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આજે શિવસેનાએ તેની તમામ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ સિવાય આદિત્ય ઠાકરે પાર્ટીના નેતાઓને પણ સંબોધિત કરશે. બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે વચ્ચે આજે મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડી સરકાર સહિત પક્ષને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સાથે જ બળવાખોર ધારાસભ્યો સામે શિવસેનાના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે પુણેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં એ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ દરમિયાન કાર્યકરોએ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા વીડિયો શેર કર્યો અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ'.