દિલ્હીમાં હુમાયુના મકબરા પાસે છત ધરાશાયી થતા 6 લોકોના મોત

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં હુમાયુના મકબરા પાસે આવેલી દરગાહની છતનો એક ભાગ શુક્રવારે સાંજે તૂટી પડ્યો. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા છે

નવી દિલ્હી,શુક્રવાર:  દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં હુમાયુના મકબરા પાસે આવેલી દરગાહની છતનો એક ભાગ શુક્રવારે સાંજે તૂટી પડ્યો. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા છે. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અકસ્માત સાંજે 4.30 વાગ્યાની આસપાસ થયો હતો, અને માહિતી મળ્યા બાદ, પાંચ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. 10 થી વધુ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ અકસ્માત નિઝામુદ્દીન વિસ્તારમાં હુમાયુના મકબરા પાછળ સ્થિત દરગાહ શરીફ પટ્ટે શાહ ખાતે થયો હતો. જ્યાં દરગાહ પરિસરમાં બનેલા એક રૂમની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો.મૃતકોમાંથી ત્રણની ઓળખ સરૂપ (79), મોઇનુદ્દીન (35) અને મોહમ્મદ આરિફ (35) તરીકે થઈ છે. જોકે, અકસ્માતમાં મૃત્યુ પામેલી ત્રણ મહિલાઓની ઓળખ હજુ સુધી થઈ નથી.

ઘટના અંગે માહિતી આપતાં દક્ષિણ રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર સંજય કુમાર જૈને જણાવ્યું હતું કે, ‘અકસ્માત બાદ નવ લોકોને એઈમ્સ ટ્રોમા સેન્ટર અને એકને એલએનજેપી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આ ઘટનામાં એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવેલા પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એલએનજેપી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે.’ તેમણે કહ્યું, ‘અહીં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જોકે, જે ઈમારતમાં આ અકસ્માત થયો તેની હાલત ખૂબ જ ખરાબ છે અને તેની એક દિવાલ હજુ પણ ધરાશાયી થવાના આરે છે.’

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!