અમદાવાદના અડાલજ નજીક બર્થડે મનાવી રહેલા યુવકની લૂંટના ઈરાદે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં તેની સાથે રહેલી યુવતી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પોલીસ તપાસ ચાલી રહી છે.

અમદાવાદ, શનિવાર
અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર નજીક કેનાલ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા એક યુવકને લૂંટીને તેની હત્યા કરવામાં આવી છે. આ ક્રૂર ઘટનામાં તેની સાથે રહેલી એક યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે એક યુવતી સાથે અમીયાપુર કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરવા ગયો હતો. તે જ સમયે, કેટલાક અજાણ્યા બદમાશોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. લૂંટના ઈરાદે આવેલા આ શખ્સોએ યુવકને છરીના અનેક ઘા મારીને તેની હત્યા કરી નાખી.
આ ઘટના બાદ, ગંભીર રીતે ઘાયલ યુવતી કારમાંથી નગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસને શંકા છે કે લૂંટારાઓએ તેની સાથે પણ ગેરવર્તણૂક કરી હોઈ શકે છે. આ યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે, જ્યાં હાલ તેનું ઓપરેશન ચાલી રહ્યું છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવક અને યુવતીના પરિવારો પર અમુક વિગતો મીડિયા સામે ન આવે તે માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને જુદી જુદી ટીમો બનાવીને તપાસને વેગ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમીયાપુર કેનાલ પાસે આ પ્રકારની ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે. આ જ સ્થળે ફરીથી આવા બનાવ બનવાથી વિસ્તારના લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. આ ઘટનાએ પોલીસની પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ ઘણા સવાલો ઊભા કર્યા છે.











