પશ્ચિમ બંગાળથી ગેરકાયદેસર પ્રવાસીઓ પાછા ફરતા બાંગ્લાદેશે ભારત પર જબરદસ્તીથી લોકોને બોર્ડર પાર કરાવવાનો આરોપ લગાવ્યો છે. બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. જાણો સમગ્ર વિવાદ.

નવી દિલ્હી, શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં નવી સરકારની કડક નીતિઓના કારણે બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદેસર પ્રવાસીઓ (ઘૂસણખોરો) હવે પોતાના દેશ તરફ પાછા ફરી રહ્યા છે. પરંતુ સરહદ પર આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં થઈ ગયું છે. પોતાની જનતાને પાછી લેવાના બદલે બાંગ્લાદેશે ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે કે ભારતીય દળો જબરદસ્તીથી લોકોને તેમની બોર્ડરમાં ધકેલી રહ્યા છે. આ ઘટનાક્રમને કારણે બંને પાડોશી દેશો વચ્ચે ફરી એકવાર રાજદ્વારી અને સૈન્ય તણાવ ઊભો થયો છે.
બાંગ્લાદેશ ગાર્ડ્સના ગંભીર આક્ષેપો
બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશએ દાવો કર્યો છે કે ભારતીય સુરક્ષા દળો જાણીજોઈને ગેરકાયદેસર પ્રવાસીઓને બાંગ્લાદેશમાં ઘુસાડી રહ્યા છે. BGB ના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતીય અધિકારીઓએ અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોને બોર્ડર પાર કરાવવાના ઓછામાં ઓછા 10 પ્રયાસો કર્યા હતા, જેને તેમણે નિષ્ફળ બનાવ્યા છે. આ નિવેદનોના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.
4000 કિમી લાંબી બોર્ડર અને સુરક્ષાનો મોટો પડકાર
તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4000 કિલોમીટરથી વધુ લાંબી આંતરરાષ્ટ્રીય જમીની સરહદ આવેલી છે. આ બોર્ડર દુનિયાની સૌથી લાંબી બોર્ડર્સમાંની એક છે, જે ગીચ જંગલો, પહાડો અને નદીઓ જેવા દુર્ગમ વિસ્તારોમાંથી પસાર થાય છે. ભૌગોલિક સ્થિતિ અઘરી હોવાને કારણે અહીં 24 કલાક ચાંપતી નજર રાખવી અને સંપૂર્ણ ઘેરાબંધી કરવી સુરક્ષા દળો માટે હંમેશાં એક મોટો પડકાર રહ્યો છે.
ભારતનું સત્તાવાર મૌન અને અગાઉની માંગણી
બાંગ્લાદેશના આ આક્ષેપો પર ભારત સરકારના વિદેશ મંત્રાલય કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, અસમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ જેવા સરહદી રાજ્યોમાં શાસક પક્ષ ભાજપ લાંબા સમયથી ઘૂસણખોરીને એક મોટી સમસ્યા માનતો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ જ બાંગ્લાદેશને 2860 થી વધુ શંકાસ્પદ લોકોની યાદી સોંપી હતી, જેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. ભારતે આ લોકોની નાગરિકતાની તપાસ કરવા વિનંતી કરી હતી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા હવે બોર્ડર પર સ્થિતિ વણસી છે.
બાંગ્લાદેશની ચેતવણી અને કાનૂની માર્ગ અપનાવવાની માંગ
આ વિવાદ વચ્ચે ઢાકા અને BGB એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, તેઓ કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસવા દેશે નહીં. બાંગ્લાદેશના રાજદ્વારીઓનું કહેવું છે કે, જો ભારતમાં રહેતી કોઈ વ્યક્તિ ખરેખર બાંગ્લાદેશી નાગરિક સાબિત થાય, તો તેને બોર્ડર પરથી બિનસત્તાવાર રીતે ધકેલવાના બદલે યોગ્ય કાનૂની અને રાજદ્વારી માર્ગેથી જ પરત મોકલવી જોઈએ.
8 થી 11 જૂન વચ્ચે યોજાશે હાઈ-લેવલ મીટિંગ
બંને દેશો વચ્ચે વધી રહેલા આ તણાવને શાંત કરવા માટે હવે દિલ્હીમાં એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આગામી 8 થી 11 જૂન દરમિયાન BSF અને BGB ના ડાયરેક્ટર જનરલ સ્તરના અધિકારીઓ સામસામે બેસીને વાતચીત કરશે. આ હાઈ-લેવલ બેઠકમાં બોર્ડર મેનેજમેન્ટ, ઘૂસણખોરી અને જબરદસ્તીથી બોર્ડર પાર કરાવવી જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને કોઈ ચોક્કસ ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.











