ડાયરેક્ટર રાહુલ મોદી સાથે ક્રિએટિવ ડિફરન્સિસના કારણે આમિર ખાને અશ્નીર ગ્રોવરની બાયોપિક છોડી. હવે મેકર્સ નવા યંગ એક્ટરની શોધમાં.

પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવરની બાયોપિકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહેલા બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને હવે પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ નિર્માતા અને નવદિશક રાહુલ મોદી સાથે સર્જનાત્મક મતભેદો (Creative Differences) સર્જાતાં તેમણે આ ફિલ્મમાંથી ખસી જવાનું મુનાસિબ માન્યું છે.
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી પ્રોજેક્ટ આગળ ધપાવશે
આમિર ખાન અશ્નીર ગ્રોવરના જીવન અને કારકિર્દીથી ખૂબ પ્રભાવિત હતા અને તેમણે સ્ક્રિપ્ટ પર પણ કામ કર્યું હતું. જોકે, તેમના પ્રોજેક્ટમાંથી બહાર થયા બાદ પણ ફિલ્મનું કામ અટકશે નહીં. ડાયરેક્ટર રાહુલ મોદી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે કટિબદ્ધ છે. ફિલ્મ માટે હવે અશ્નીર ગ્રોવરના રોલ ફિટ બેસે તેવા કોઈ યુવા કલાકારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અશ્નીર ગ્રોવરની પત્નીના રોલમાં શ્રદ્ધા કપૂર
આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર માત્ર મુખ્ય અભિનેત્રી તરીકે અશ્નીર ગ્રોવરની પત્નીની મહત્વપૂર્ણ ભૂમિકા જ નહીં ભજવે, પરંતુ તે આ પ્રોજેક્ટની પ્રોડ્યુસર પણ છે. અગાઉ આ ફિલ્મ માર્ચ ૨૦૨૭થી ફ્લોર પર જવાની શક્યતાઓ હતી. જોકે, આમિર ખાને ફિલ્મ છોડી હોવા અંગે કે અન્ય અપ્ડેટ્સ બાબતે મેકર્સ કે આમિર ખાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.










