દિગ્ગજ ક્રિકેટરો સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનએ ગુરુવારે નવી ટ્રોફી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નું વિધિવત અનાવરણ કર્યું હતું

નવી દિલ્હી,ગુરૂવાર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ શ્રેણી હવે એક નવી ઓળખ સાથે આગળ વધશે. દિગ્ગજ ક્રિકેટરો સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનએ ગુરુવારે નવી ટ્રોફી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી નું વિધિવત અનાવરણ કર્યું હતું. આ ટ્રોફી હવે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીનો ભાગ બનશે અને વિજેતા ટીમને એનાયત કરવામાં આવશે. અગાઉ આ શ્રેણી માટે પટૌડી ટ્રોફી આપવામાં આવતી હતી,પટૌડી ટ્રોફીનું નામ પટૌડી સિનિયર અને ટાઇગર પટૌડીની યાદમાં રાખવામાં આવ્યું હતું – જેમાંથી સિનીયરે ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે ક્રિકેટ રમ્યું હતું અને ટાઇગર પટૌડીએ ભારતનું નેતૃત્વ કર્યું હતું.
નવી ટ્રોફી પર સચિનનો આઇકોનિક કવર ડ્રાઇવ અને એન્ડરસનના ઓળખી શકાય એવા બોલિંગ એક્શનની છબી દર્શાવવામાં આવી છે. બંને ખેલાડીઓના હસ્તાક્ષરો પણ આ ટ્રોફી પર ઉકેરવામાં આવ્યા છે.ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, હવે દરેક ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે.
અગાઉ, ઇંગ્લેન્ડમાં રમાતી શ્રેણી પટૌડી ટ્રોફી માટે હોય અને ભારતમાં એન્થોની ડી મેલો ટ્રોફી માટે રમાતી હતી. હવે બંનેને જોડીને એક ઓપચારિક ટ્રોફી બનાવવામાં આવી છે.પટૌડી પરિવાર સાથેનો સંબંધ યથાવત રહેશે. હવે 2025થી શરૂ થતી દરેક ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પછી વિજેતા કેપ્ટનને ખાસ “પટૌડી મેડલ” પણ આપવામાં આવશે.પટૌડી ટ્રોફીની શરૂઆત 2007માં થઈ હતી, જ્યાં ભારતે ઇંગ્લેન્ડ સામે શ્રેણી 1-0થી જીતી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડે 2011, 2014 અને 2018ની શ્રેણીઓ પોતાના નામે કરી હતી. 2021ની શ્રેણી 2-2થીド્રો રહી હતી, જેમાં અંતિમ મેચ કોરોનાના કારણે પાછી ઠેલાઈ હતી અને એ મેચમાં ઇંગ્લેન્ડે વિજય મેળવ્યો હતો.











