નવા સિસ્ટમમાં એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર હશે. આ સેન્ટરમાં ટ્રેન ઓપરેશન્સથી જોડાયેલા તમામ વિભાગો અને બ્રાન્ચ એકસાથે કામ કરશે. એડવાન્સ ટેક્નોલોજી દ્વારા ટ્રેનની અવરજવર, રૂટ પ્લાનિંગ અને ઇમરજન્સી પરિસ્થિતિઓને વધુ સારી રીતે મેનેજ કરી શકાશે.

નવી દિલ્હી, શનિવાર
ભારતીય રેલવે પોતાના 100 વર્ષથી પણ વધુ જૂના ટ્રેન કંટ્રોલ સિસ્ટમને આધુનિક બનાવવા જઈ રહ્યું છે. દુનિયાના ચોથા સૌથી મોટા રેલવે નેટવર્કમાં આ બદલાવથી ઓપરેશન્સ અને સેફ્ટીમાં સુધારો થશે. આ નિર્ણય ટ્રેન અકસ્માતો ઘટાડવા અને ટ્રેનોની સ્પીડ વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે.
ટેક્નોલોજીનો ઉપયોગથી મળશે મદદ
એક રિપોર્ટ અનુસાર, રેલવે બોર્ડ એક નવો પ્લાન તૈયાર કરી રહ્યું છે. આ પ્લાન હેઠળ ઓપરેશનલ અને ટ્રાફિક કંટ્રોલ માટે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી અકસ્માતોમાં ઘટાડો થશે, ટ્રેનોની સ્પીડમાં વધારો થશે અને કામકાજમાં ઝડપ આવશે. વધતા રેલવે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ પગલું અત્યંત જરૂરી બન્યું છે.
આ રૂટ્સ પર રહેશે ખાસ ફોકસ
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, ફ્રેટ ઇન્ટેન્સિવ કોરિડોર, હાઈ સ્પીડ અને મિક્સ્ડ ટ્રાફિક રૂટ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. રેલવે બોર્ડ જાપાન, રશિયા, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેનના રેલવે સિસ્ટમ્સનો અભ્યાસ કરશે. જોકે, ભારતમાં રેલવેનું કાર્ય ખૂબ જ અલગ હોવાથી ત્યાંના સિસ્ટમને સીધેસીધું લાગુ કરી શકાશે નહીં. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ સોલ્યુશન ભારતની જરૂરિયાત મુજબ જ વિકસાવવું પડશે.
નવી સિસ્ટમ કેવી હશે?
નવા સિસ્ટમમાં એક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર હશે. આ સેન્ટરમાં ટ્રેન ઓપરેશન્સથી જોડાયેલા તમામ વિભાગો અને બ્રાન્ચ એકસાથે કામ કરશે. એડવાન્સ ટેક્નોલોજી દ્વારા ટ્રેનની અવરજવર, રૂટ પ્લાનિંગ અને ઇમરજન્સી પરિસ્થિતિઓને વધુ સારી રીતે મેનેજ કરી શકાશે.
હાલમાં મોટાભાગનું કામ મેન્યુઅલી થાય છે, જેના કારણે ટ્રેન કંટ્રોલર્સ પર ભારે દબાણ રહે છે અને તેઓ વધતા ટ્રાફિકને સંભાળી શકતા નથી. નવા ટેક્નોલોજીના ઉપયોગથી તેમનું કામ સરળ બનશે.
શા માટે પડી જરૂર?
તાજેતરમાં થયેલા કેટલાક ટ્રેન અકસ્માતોએ ટ્રેન કંટ્રોલ સિસ્ટમમાં રહેલી ખામીઓને ઉજાગર કરી હતી. આ કારણે સુધારા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. રેલવે બોર્ડે એક કમિટીની રચના કરી છે, જે ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સુધારા માટે સૂચનો આપશે.











