ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાઓની હાલત દયનીય બની છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી તમામ તૂટેલા રોડ અને ખાડાઓ રિપેર કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપી છે. નોંધનીય છે કે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાહત અને બચાવ કામગીરી, જળાશયોની વર્તમાન સ્થિતિ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય, તાજેતરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં મંત્રીઓ અને અધિકારીઓને થયેલા અનુભવો સહિતની વિગતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ મંથન થયું હતું.
આ ઉપરાંત, એક અન્ય મહત્ત્વના કાર્યક્રમ અંતર્ગત સચિવાલય સંકુલમાં એક અનોખા બોટલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સખીનીર મિનરલ વોટર બોટલ પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે તે રીયુઝેબલ ગ્લાસ બોટલિંગ પ્લાન્ટ છે, જ્યાં પ્લાસ્ટિક બોટલોના સ્થાને ગ્લાસ બોટલોનો ફરીથી ઉપયોગ થશે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણ દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે.










