ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની ટૂંક સમયમાં જાહેરાત? રાહુલ ગાંધી સાથે 15 દિગ્ગજ નેતાઓની બેઠક

આ જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસમાં નવા અધ્યાયની શરૂઆત થશે તેવી અપેક્ષા છે. આગામી સમયમાં કોણ ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળશે તે જોવું રસપ્રદ રહેશે.

અમદાવાદ, શુક્રવાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ, ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હીથી હાઈકમાન્ડના તેડા બાદ ગુજરાત કોંગ્રેસના 15 જેટલા દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી અને વેણુગોપાલ સાથે મુલાકાત કરવા દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં આગામી સમયમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની પ્રબળ સંભાવના છે.

દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠકમાં હાજર રહેલા નેતાઓ
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો શૈલેષ પરમાર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, લલિત કગથરા, રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક, લાલજી દેસાઈ, સુખરામ રાઠવા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને તુષાર ચૌધરી સહિતના નેતાઓ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

નવા પ્રદેશ પ્રમુખના નામ પર ચર્ચા
આ બેઠકનો મુખ્ય એજન્ડા શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ખાલી પડેલા પ્રદેશ પ્રમુખના પદ પર નવા નેતાની નિમણૂક અંગે ચર્ચા કરવાનો હોવાનું મનાય છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી સંગઠિત કરવા અને મજબૂત બનાવવા માટે હાઈકમાન્ડ ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે.

શક્તિસિંહ ગોહિલનું રાજીનામું અને વચગાળાની વ્યવસ્થા
23 જૂન, 2025 ના રોજ કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે નબળા પરિણામોની જવાબદારી સ્વીકારી હતી. તેમના સ્થાને હાલ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ને વચગાળાના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ન થાય.

છેલ્લા 7 વર્ષમાં 3 પ્રદેશ પ્રમુખના રાજીનામા

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા 7 વર્ષમાં આ ત્રીજા પ્રદેશ પ્રમુખનું રાજીનામું છે, જે પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે.

જગદીશ ઠાકોર: 2022ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

અમિત ચાવડા: 2021ના ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતાં તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ 2018માં પ્રદેશ પ્રમુખ બન્યા હતા.

સંગઠન સૃજન અભિયાન અને પ્રમુખોની વરણી
ગુજરાતમાં કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરી હતી અને 21 જુલાઈના રોજ શહેર-જિલ્લા પ્રમુખોની વરણી કરી હતી. જેમાં 10 પૂર્વ ધારાસભ્યો અને 1 પૂર્વ સાંસદને પણ પ્રમુખપદ સોંપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર કોંગ્રેસની કમાન સોનલબેન પટેલને, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખની જવાબદારી પાલ આંબલિયાને સોંપવામાં આવી હતી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!