તિરુમાલા તિરુપતિ મંદિરમાં એક અજાણ્યા ભક્તે 140 કરોડનું 121 કિલો સોનું દાન કર્યું છે. જાણો આ મહાદાન પાછળની આસ્થાની કહાણી અને અન્ય મોટા દાન અંગેની ડિટેલ્સ.

તિરુમાલા, ગુરૂવાર
આંધ્ર પ્રદેશના ગુન્ટુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ મંદિરમાં એક અસાધારણ ઘટના બની છે. એક અજાણ્યા ભક્તે પોતાની શ્રદ્ધા અને સમર્પણનો એક એવો દાખલો બેસાડ્યો છે જે ઇતિહાસમાં નોંધાઈ જશે. આ ભક્તે મંદિરને 140 કરોડની કિંમતનું 121 કિલો શુદ્ધ સોનું દાન કર્યું છે.
આ વિગતો ખુદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગુન્ટુરના મંગલાગિરીમાં આયોજિત એક કાર્યક્રમમાં જાહેર કરી. તેમણે જણાવ્યું કે, વર્ષો પહેલાં આ ભક્તએ તિરુપતિ મંદિરમાં પોતાના બિઝનેસની શરૂઆત માટે પ્રાર્થના કરી હતી. ભગવાન વેંકટેશ્વર સ્વામીની કૃપાથી, તેમનો બિઝનેસ ખૂબ સફળ રહ્યો અને તાજેતરમાં તેમણે પોતાની કંપનીના શેર વેચીને લગભગ 6,000 થી 7,000 કરોડનો પ્રોફિટ કમાવ્યો.
પોતાની આ સફળતાને ભગવાનનો આશીર્વાદ માનીને, આ ભક્તે પોતાના પ્રોમિસ મુજબ આ મહાદાન કરવાનો નિર્ણય કર્યો. આટલું મોટું ગોલ્ડ ડોનેશન મંદિરના ઇતિહાસમાં આજ સુધીનું સૌથી મોટું દાન ગણાય છે.
અગાઉ પણ મળ્યા છે મોટા દાન
તિરુપતિ મંદિર માટે કરોડોનું દાન કોઈ નવી વાત નથી. દુનિયાભરમાંથી લાખો ભક્તો શ્રી વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે આવે છે અને પોતાની ક્ષમતા અનુસાર દાન કરે છે. આ પહેલા પણ મંદિરને ઘણા મોટા ડોનેશન્સ મળ્યા છે:
મે 2025માં, ઉદ્યોગપતિ સંજીવ ગોયન્કાએ 3.63 કરોડનો હીરા જડિત સોનાનો હાર ભેટ કર્યો હતો.
જુલાઈ 2025માં, ચેન્નઈની કંપની સુદર્શન એન્ટરપ્રાઈઝે 2.4 કરોડનું 2.5 કિલો સોનું દાનમાં આપ્યું હતું.
જાન્યુઆરી 2025માં, નિવૃત્ત આઈઆરએસ અધિકારી વાયવીએસએસ ભાસ્કર રાવે 3.66 કરોડની સંપત્તિ મંદિર ટ્રસ્ટને આપી હતી.
દાનનો ઉદ્દેશ્ય
મંદિરની મૂર્તિને હાલમાં દરરોજ 120 કિલો સોનાના આભૂષણોથી સજાવવામાં આવે છે. આ વાતની જાણ થતાં જ ભક્તએ 121 કિલો સોનું દાન કરવાનો નિર્ણય કર્યો, જેથી ભગવાનના શણગારમાં પણ પોતાનું યોગદાન આપી શકાય.
આ દાનનો ઉપયોગ મંદિરના વિકાસ કાર્યો અને જનકલ્યાણના પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે. આ ભક્તના અસાધારણ કૃત્યે અન્ય શ્રદ્ધાળુઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આસ્થા અને સફળતાનો કેવો અનોખો સંગમ હોઈ શકે છે.











