1 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવતા 5 મોટા નાણાકીય નિયમો વિશે જાણો. LPGના ભાવ, FD પરના વ્યાજ દર, ATM ચાર્જ, ચાંદીનું હોલમાર્કિંગ અને SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં થનારા ફેરફારોની તમારા ખિસ્સા પર શું અસર થશે તે સમજવા આ આર્ટિકલ વાંચો.

અમદાવાદ, ગુરૂવાર
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત તમારી નાણાકીય બાબતોને સીધી અસર કરી શકે તેવા કેટલાક મોટા ફેરફારો સાથે થઈ રહી છે. બેંકિંગ, રોકાણ અને રોજિંદા ખર્ચાઓને લગતા આ નિયમોમાં બદલાવ થવાથી સામાન્ય માણસના બજેટ પર સીધી અસર પડી શકે છે. ચાલો જાણીએ કયા 5 મુખ્ય ફેરફારો 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યા છે.
1. ચાંદી ખરીદવી મોંઘી થશે: ફરજિયાત હોલમાર્કિંગ લાગુ
હવે માત્ર સોના પર જ નહીં, પણ ચાંદીના ઘરેણાં અને સિક્કાઓ પર પણ હોલમાર્કિંગ ફરજિયાત બનશે. આ પગલાથી ચાંદીની શુદ્ધતાની ખાતરી મળશે. જોકે, જ્વેલર્સનું કહેવું છે કે આ નિયમ લાગુ થવાથી મેકિંગ ચાર્જ વધી શકે છે, જે આખરે ચાંદીની કિંમતમાં વધારો કરશે. જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો, તો સપ્ટેમ્બર પહેલા ખરીદી કરવી વધુ ફાયદાકારક બની શકે છે.
2. SBI ક્રેડિટ કાર્ડ પર નવા ચાર્જ અને પેનલ્ટી
દેશની સૌથી મોટી બેંક, State Bank of India (SBI), તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે જો તમારું ઓટો-ડેબિટ ફેઈલ થશે, તો બેંક 2% જેટલી પેનલ્ટી વસૂલ કરશે. આ ઉપરાંત, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન્સ, ફ્યુઅલ અને ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન પર પણ એક્સ્ટ્રા ચાર્જ લાગુ પડી શકે છે. આ સાથે, રિવોર્ડ પોઈન્ટ્સનું મૂલ્ય પણ ઘટી શકે છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડ વાપરો છો, તો નવા નિયમોને સમજ્યા પછી જ ખર્ચ કરવો હિતાવહ રહેશે.
3. LPG સિલિન્ડરના ભાવમાં સંભવિત બદલાવ
દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવે છે. 1 સપ્ટેમ્બરે પણ નવા ભાવ જાહેર થશે. જો ગ્લોબલ ક્રૂડ ઓઈલના ભાવ વધશે તો ઘરેલુ સિલિન્ડર મોંઘા થઈ શકે છે, જેનાથી ઘરનું બજેટ ખોરવાઈ શકે છે. જોકે, ભાવ ઘટશે તો ચોક્કસપણે થોડી રાહત મળશે.
4. ATM માંથી રોકડ ઉપાડવી મોંઘી થશે
સપ્ટેમ્બરથી કેટલીક બેંકો ATM માંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થયા પછી વસૂલવામાં આવતા ચાર્જમાં વધારો કરી શકે છે. બેંકોનું માનવું છે કે આ પગલાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન ને પ્રોત્સાહન મળશે. જે લોકો રોકડ વ્યવહારો પર વધુ નિર્ભર છે, તેમને હવે વધુ ધ્યાન રાખવું પડશે.
5. FD પર વ્યાજ દર ઘટી શકે છે
કેટલીક બેંકોએ સંકેત આપ્યા છે કે તેઓ સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે. હાલમાં મોટાભાગની બેંકો 6.5% થી 7.5% સુધી વ્યાજ આપે છે. જો વ્યાજ દરોમાં ઘટાડો થશે, તો રોકાણ પર ઓછું રિટર્ન મળશે. જો તમે FD કરવાનું વિચારી રહ્યા હો, તો સપ્ટેમ્બર પહેલાના વર્તમાન દરો પર રોકાણ કરવું વધુ સારો ઓપ્શન હોઈ શકે છે.
આ પાંચેય ફેરફારોને ધ્યાનમાં રાખીને, તમારી નાણાકીય યોજનામાં જરૂરી સુધારા કરવા સલાહભર્યું રહેશે.











