ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે :પરંતુ માત્ર 20 જેવા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે

દહેગામ, મંગળવાર :ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરવા અંગે દહેગામ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના નેજા હેઠળ દહેગામના મામલતદાર અને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દહેગામ ખાતે મામલતદાર અને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવાયું હતું કે ગુજરાતમાં કુલ 146 સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે, પરંતુ માત્ર 20 જેવા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો જ તેનો લાભ લે છે. આ 20 સમુદાયની સંખ્યા ઓબીસીની કુલ સંખ્યાની 20 ટકા પણ નથી પણ 80 ટકા અનામતની સીટ લે છે, બીજી તરફ ઠાકોર,કોળી, દેવીપૂજક,રાવળ, ગોસ્વામી વંજારા,ધોબી,નાઈ,મોચી જેવા 100 થી વધુ ઓબીસીમા આવતા વિકાસથી વંચિત સમુદાયો કોઈ સકારાત્મક લાભ મેળવી શકતા નથી.આ તફાવત દૂર કરવા ગુજરાતમાં પણ ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક અમલમાં મુકવું જરૂરી છે.સુપ્રીમ કોર્ટના 1992ના ઈન્દ્રા સાહનીના ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ ઓબીસી અનામત વર્ગીકરણ સંપૂર્ણપણે બંધારણીય છે.ભારતના 12 રાજ્યોમાં જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને શાસિત રાજ્યોનો સમાવેશ થાય છે જેમ કે મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ,કર્ણાટક,તેલંગાણા,તામિલનાડુ અને કેરળ આ બધાં રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. બિહારમાં તો છેલ્લાં 50 વર્ષથી ઓબીસી અનામત વર્ગીકરણ સફળતાપૂર્વક અમલમાં છે જેથી ગુજરાત રાજ્ય અન્ય રાજ્યોની જેમ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મુકવામાં આવે. ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓ અને ઠાકોર અને કોળી સમાજના હજારો લોકો દ્વારા ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રીઅને પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવી ચૂક્યા છે,તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે એવી માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી હતી.











