તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરકોંડા ફરી એકવાર વિવાદમાં છે. ફિલ્મ ‘રેટ્રો’ ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન આદિવાસી સમુદાય વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધાયો છે.

નવી દિલ્હી, રવિવાર: તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરકોંડા ફરી એકવાર વિવાદમાં છે. ફિલ્મ ‘રેટ્રો’ ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન આદિવાસી સમુદાય વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ હવે તેમની સામે SC/ST (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.આ વિવાદ 26 એપ્રિલે શરૂ થયો હતો, જ્યારે વિજય દેવરકોંડાએ હૈદરાબાદમાં આયોજિત ફિલ્મ રેટ્રોના પ્રમોશનલ કાર્યક્રમ દરમિયાન 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તુલના 500 વર્ષ જૂના આદિવાસી યુદ્ધો સાથે કરી હતી.
આદિવાસી સમાજનું અપમાન કરવાનો આરોપ
આ ફરિયાદ આદિવાસી સમુદાયની સંયુક્ત સમિતિના પ્રમુખ અશોક રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે દેવરકોંડાની ટિપ્પણીથી આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે અને આતંકવાદીઓ સાથે તેમની તુલના કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે અભિનેતાની ટિપ્પણી એપ્રિલમાં કરવામાં આવી હતી, પરંતુ એફઆઈઆર 17 જૂને નોંધવામાં આવી હતી.











