કાનપુરમાં મંગળવારે સાંજે એક ભીષણ વિસ્ફોટ થયો છે. મેસ્ટન રોડ પર મૂળગંજ વિસ્તારમાં બિસાતખાનામાં આવેલી એક મસ્જિદ પાસે ઊભેલી બે સ્કૂટીમાં બ્લાસ્ટ થતાં આઠ લોકો ઘાયલ થયા છે
કાનપુરમાં મંગળવારે સાંજે એક ભીષણ વિસ્ફોટ થયો છે. મેસ્ટન રોડ પર મૂળગંજ વિસ્તારમાં બિસાતખાનામાં આવેલી એક મસ્જિદ પાસે ઊભેલી બે સ્કૂટીમાં બ્લાસ્ટ થતાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. ઘાયલોમાંથી ચારની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે લખનઉ રિફર કરવામાં આવ્યા છે.
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આસપાસની દુકાનોની ફોલ સીલિંગ તૂટી પડી હતી અને નજીકની મસ્જિદની દિવાલોને પણ નુકસાન પહોંચ્યું છે. વિસ્ફોટ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફોરેન્સિક ટીમ, બોમ્બ સ્ક્વોડ અને ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ)ની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે બંને સ્કૂટીમાં જ વિસ્ફોટક પદાર્થ રાખવામાં આવ્યો હતો.
ડીજીપી રાજીવ કૃષ્ણાએ કાનપુરના પોલીસ કમિશનર રઘુબીર લાલ પાસેથી ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવી હતી અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પોલીસ હાલમાં સ્કૂટીના માલિકોને શોધવા માટે પ્રયાસ કરી રહી છે અને વિસ્ફોટના પદાર્થનો રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે, જેથી તે કોઈ મોટી ષડયંત્રનો ભાગ છે કે પછી દિવાળી માટે ફટાકડા બનાવવાના પદાર્થ હતા, તે જાણી શકાય.












