લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળની અટકાયત વિરુદ્ધ તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ દાખલ કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

લદ્દાખના જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળની અટકાયત વિરુદ્ધ તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ દાખલ કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને લદ્દાખ પ્રશાસનને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી મંગળવાર, 14 ઑક્ટોબર, 2025ના રોજ થશે.
સોલિસિટર જનરલની દલીલ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) એ વાંગચુક તરફથી દાખલ કરાયેલી અરજી સામે દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, “અરજીકર્તા એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સોનમ વાંગચુકને તબીબી સહાય અને પત્નીને મળવાની મંજૂરી નથી અપાતી, જેથી પોતાના પક્ષમાં ભાવનાત્મક માહોલ બનાવી શકાય.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બધું ફક્ત મીડિયા અને લદ્દાખમાં એવી છબી ઊભી કરવા માટે કરવામાં આવી રહ્યું છે કે તેમને દવાઓ અને પત્નીને મળવાનો હક આપવામાં આવી રહ્યો નથી.
અટકાયત અને વિવાદનું મૂળ
26 સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પર કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (NSA) લગાવવામાં આવ્યો હતો. વાંગચુક હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે.
આ ઘટના લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણના છઠ્ઠા અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગ સાથે થયેલા વિરોધ પ્રદર્શનોના બે દિવસ પછી થઈ હતી.આ પ્રદર્શનો હિંસક બન્યા હતા, જેમાં ચાર લોકોનાં મોત થયા હતા અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા.વાંગચુક લાંબા સમયથી લદ્દાખના પર્યાવરણીય અને લોકતાંત્રિક હિતોને ઉજાગર કરવા માટે શાંતિપૂર્ણ અને ગાંધીવાદી રીતે ઉપવાસ કરી રહ્યા હતા.











