રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા કાર ધમાકા બાદ ભારતમાં સુરક્ષા સઘન બનાવી છે, જ્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની કોર્ટ બહાર પણ આત્મઘાતી હુમલો થયો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા કાર ધમાકા બાદ ભારતમાં સુરક્ષા સઘન બનાવી છે, જ્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની કોર્ટ બહાર પણ આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં ૧૨ લોકો માર્યા ગયા હતા અને તેની જવાબદારી આતંકી જૂથ તહરીક-એ-તાલિબાન (TTP) એ લીધી હતી.
જોકે, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આ હુમલાનો દોષ ભારતના માથે મઢવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારત પાકિસ્તાનમાં પ્રોક્સી ટેરરિસ્ટ અટેક કરાવીને દેશને અસ્થિર કરવા માગે છે.
શરીફના આ મનઘડંત આરોપો પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ એ સ્પષ્ટપણે આ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “ભારત, ભ્રમમાં જીવી રહેલા પાકિસ્તાની નેતૃત્વ દ્વારા લગાવાઈ રહેલા નિરાધાર આરોપોને સ્પષ્ટપણે નકારે છે.” ભારતે કહ્યું કે, પાકિસ્તાન દેશમાં ચાલી રહેલા સંવૈધાનિક વિનાશ અને સત્તા કબજે કરવાના પ્રયાસોથી જનતાનું ધ્યાન હટાવવા માટે આવા જૂઠા આખ્યાનો ઘડી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની આ હતાશ ભરેલી ચાલથી સારી રીતે વાકેફ છે અને તે ગેરમાર્ગે દોરાશે નહીં.











