સુરેન્દ્રનગરમાં લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર અકસ્માતે પાણીમાં ખાબકતા મોટો અકસ્માત સર્જાયો હતો. સાપને બચાવવા જતાં કાર કાબૂ બહાર ગઈ હતી.

ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને ગંભીર અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. સદનસીબે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સમાચાર મળતા જ તેમના ચાહકો અને શુભચિંતકોએ રાહતનો શ્વાસ લીધો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા પ્રસિદ્ધ હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે આ ઘટના બની હતી. રસ્તા પર અચાનક સાપ આડો આવતા સાપને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે કાર પરથી સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે હકાભાની ફોર્ચ્યુનર કાર સીધી રસ્તાની કિનારે આવેલા પાણીમાં ખાબકી હતી.
મિત્રોની સતર્કતાથી મળ્યું નવજીવન
ઘટના સમયે હકાભાની પાછળ જ અન્ય મિત્રોની ગાડી પણ આવી રહી હતી. અકસ્માત થતાં જ પાછળ આવી રહેલા મિત્રોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને હકાભા ગઢવીને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હાસ્ય કલાકાર હેમખેમ હોવાની જાણ થતાં તેમના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી છે.











