ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ: શું પાકિસ્તાન પરમાણુ બોમ્બનો ઉપયોગ કરશે? ઈરાનના ટોચના અધિકારીનો સનસનાટીભર્યો દાવો!

નવી દિલ્હી, સોમવાર : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તંગદિલીભર્યા માહોલ વચ્ચે એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ઈરાનના એક ટોચના અધિકારીએ જણાવ્યું છે કે પાકિસ્તાને ઈઝરાયેલ પર પરમાણુ બોમ્બ ફેંકવાની વાત કરી છે. જોકે, પાકિસ્તાન સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ દાવાએ વૈશ્વિક સ્તરે ચિંતા જગાવી છે.
શું છે મોહસિન રેઝાઈનો દાવો ?
મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાનના સરકારી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ઈરાનના ટોચના અધિકારી અને IRGCના જનરલ તેમજ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય મોહસિન રેઝાઈ એ દાવો કર્યો છે કે, “પાકિસ્તાને અમને કહ્યું છે કે જો ઈઝરાયેલ પરમાણુ મિસાઈલનો ઉપયોગ કરશે, તો અમે પણ પરમાણુ હથિયારો ચલાવીશું.” આ નિવેદન શુક્રવારે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે શરૂ થયેલા સંઘર્ષ પછી આવ્યું છે.
પાકિસ્તાન ઈરાનના સમર્થનમાં
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને પહેલેથી જ ઈરાનને સમર્થન આપ્યું છે. તાજેતરમાં, મીડિયા સાથેની વાતચીતમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ એ જણાવ્યું હતું કે, “આ મુશ્કેલ સમયમાં અમે દરેક રીતે ઈરાન સાથે ઉભા છીએ. અમે ઈરાનના હિતોનું રક્ષણ કરીશું. ઈરાનીઓ અમારા ભાઈઓ છે અને તેમનું દુઃખ અમારું દુઃખ છે.” તેમણે એમ પણ કહ્યું કે ઈઝરાયેલ માત્ર ઈરાન જ નહીં, પરંતુ યમન અને પેલેસ્ટાઈનને પણ નિશાન બનાવી રહ્યું છે.
શા માટે ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો ?
રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલે શુક્રવારે સવારે ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કર્યું, જેમાં ઈરાનના પરમાણુ, મિસાઈલ અને સૈન્ય માળખાને નિશાન બનાવવામાં આવ્યું. આ હુમલાના જવાબમાં, ઈરાને પણ ઈઝરાયેલ પર જવાબી હુમલા શરૂ કર્યા. ઈરાનની કેટલીક મિસાઈલો ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમને ભેદીને દેશના મધ્યમાં આવેલી ઈમારતોને નિશાન બનાવવામાં સફળ રહી હતી, જેના કારણે ઈઝરાયેલ પર ઈરાન તરફથી વધુ જોરદાર હુમલાની શક્યતા વધી ગઈ છે.











