ગંભીરા પુલ દુર્ઘટના: ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્, મૃત્યુઆંક 18 પર પહોંચ્યો

પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે એટલે નવમી જુલાઈના રોજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃતઆંક 18 સુધી પહોંચી ગયો છે. જોકે, આ દુર્ઘટનામાં હજી બે લોકો લાપતા છે.

વડોદરા, શુક્રવાર
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા પુલ પર થયેલી દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુધવારે સવારે 7થી 8 વાગ્યાની વચ્ચે પુલનો એક ભાગ તૂટી પડતા મોટી હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.

દુર્ઘટનાની વિગતો અને મૃત્યુઆંક
આ ભયાનક ઘટનામાં પુલ પરથી પસાર થઈ રહેલાં 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું અને 2-3 બાઈક સહિતના વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. દુર્ઘટનાના 36 કલાક બાદ પણ બચાવ કામગીરી સતત ચાલી રહી છે, જે દર્શાવે છે કે હજુ પણ ફસાયેલા લોકો હોવાની આશંકા છે.

સરકારની કાર્યવાહી અને આગામી પગલાં
આ ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી જવાબદાર ચાર એન્જિનિયર્સને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ કડક કાર્યવાહી દર્શાવે છે કે સરકાર આ મામલે ગંભીર છે અને જવાબદારો સામે પગલાં લેવા તૈયાર છે.

હજી કીચડમાં ફસાયેલા છે વ્હીકલ
આ તપાસના ત્રીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. આ સાથે નદીમાં ફસાયેલા કેટલાક વાહનોને પણ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આજે ત્રીજા દિવસે પણ તંત્ર ખડેપગે રહી કામગીરી કરી રહ્યું છે. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. ગુરુવારે સઘન ઓપરેશનમાં હિટાચી મશીન, બુલડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા. બે હજાર ટનના ટ્રક વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા. પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્નરૂપ બન્યા હતા. તેના કારણે નદીમાં કીચડનું પ્રમાણ વધ્યું હતું. ઉક્ત બાબતને ધ્યાને રાખી આજે ત્યાં ત્રણેક ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીની અંદર પાથરવામાં આવ્યું હતું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!