આ ઘટનાઓ કેનેડામાં ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. ભારત સરકાર આ મામલે કેનેડા સરકાર સાથે સતત સંપર્કમાં છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

કેનેડા, મંગળવાર
કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. 11 જુલાઈના રોજ જ્યારે આ રથયાત્રા નીકળી રહી હતી, ત્યારે નજીકની એક બિલ્ડિંગમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઇંડા ફેંકવામાં આવ્યા હતા, જે રથની નજીક રોડ પર પડ્યા હતા. આ ઘટનાને ભારત સરકારે “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી છે અને કેનેડા સરકાર સમક્ષ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
ટોરોન્ટોમાં નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રાને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક NRI મહિલાએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો છે અને જણાવ્યું કે, “અમે રથયાત્રા રોકી નહીં, નફરત ક્યારેય શ્રદ્ધાને હરાવી શકતી નથી.” આ વીડિયો વાયરલ થયા બાદ ભારતના વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે.
ભારત સરકારની પ્રતિક્રિયા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ અને તહેવારની ભાવનાની વિરુદ્ધ” ગણાવી છે. ભારતે કેનેડા સરકારને આ મામલે સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કેનેડામાં હિન્દુઓ પર વધતા હુમલા
નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હિન્દુઓ અને ભારતીય અધિકારીઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં વધારો થયો છે.
બે મહિના પહેલા
ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ વિરોધી રેલી કાઢી હતી, જેમાં 8 લાખ હિન્દુઓને ભારત પાછા મોકલવાના નારા લગાવવામાં આવ્યા હતા.
10 જુલાઈના રોજ
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ થયું હતું. ખાલિસ્તાની આતંકવાદી હરજીત લાડીએ આ હુમલાની જવાબદારી લીધી હતી.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આ અંગે નિવેદન જારી કરીને કહ્યું હતું કે કપિલ શર્મા પોતાને હિન્દુવાદી ગણાવે છે અને તેના કેફે પર ફરીથી ફાયરિંગ કરી શકાય છે.
કેનેડામાં શીખોની વસ્તી મોટી છે, અને કેટલાક અરાજક તત્વો દ્વારા ખાલિસ્તાનના મુદ્દે શીખોને ઉશ્કેરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે આવા હુમલા થયા હોય. અગાઉ પણ ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા હિન્દુઓ, ભારતીય સરકારી અધિકારીઓ અને દૂતાવાસોની બહાર પણ આવા હુમલા જોવા મળ્યા છે.











