અત્યાર સુધી બેદરકારી રાખનાર માઇનોર કેનાલ વિભાગ જાગ્યુ : રવિવારે જાહેરનામું બહાર પડ્યું અમલવારી શરુ : ઇન્સ્પેક્શન દરમિયાન ખામીઓ બહાર આવતા લેવાયો નિર્ણય : બહિયલ – અપ્રુજી અને કડાદરા – મોરાલી બ્રિજ પર પોલીસ ગોઠવી દેવાઈ
દહેગામ, રવિવાર : સરકારના આદેશ બાદ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે ના માર્ગદર્શન ગાંધીનગર જિલ્લામાં હાલ વિવિધ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા કેનાલની બ્રાન્ચ તેમજ સબકેનાલો ઉપર બનેલા બ્રિજની તપાસ કરતા નર્મદા મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલ પર આવેલા બે બ્રિજની સ્થિતિ ક્રિટિકલ હોવાનું સામે આવતા રવિવારની રજાના દિવસે તંત્ર એક્શનમાં આવ્યું અને બંને બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો છે.

દહેગામ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલ પર કડાદરા – મોરાલી અને બહિયલ – અપ્રુજી વચ્ચેના બ્રિજ ક્રિટિકલ સ્થિતિ હોવાના પગે નાના મોટા વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા કલેકટર મેહુલ દવે ઘ્વારા જાહેરનામની અમલવારી અને પોલીસ બંદોબસ્ત ગોઠવા રજાના દિવસે જવાદાર તંત્રને ત્વરિત અમલવારી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે બંને બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં હાલ જર્જરીત પુલોની ચકાસણી કરવામાં આવ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સાત જેટલા ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને હજી પણ અલગ અલગ વિસ્તારમાં આ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે વધુ બે બ્રિજને સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘોડાસર બ્રાન્ચ કેનાલ અને વહેલાલ શાખા નહેર બ્રિજમાં સમાવેશ થાય છે. ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહેલાલ અને ઘોડાસર કેનાલ પરના બે બ્રિજને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પુલની જર્જરિત સ્થિતિ અને સંભવિત અકસ્માતો ટાળવા માટે લેવામાં આવ્યો છે. જેના પગલે વાહન ચાલકોને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
બહિયલ-અપ્રુજી તરફ જતા વાહનચાલકો માટે નર્મદા મુખ્ય નહેરના સર્વિસ રોડ મારફતે ડોડિયાકુઈ ગામથી અપ્રુજી રોડ તરફ જઈ શકાશે. જ્યારે અપ્રુજી-બહિયલ તરફ જતા વાહનચાલકો માટે અપ્રુજીથી ડોડિયાકુઈ ગામથી નર્મદા મુખ્ય નહેરના સર્વિસ રોડ મારફતે બહિયલ ગામ તરફ જઈ શકાશે. કડાદરા-નાની મોરાલી તરફ જતા વાહનચાલકો માટે કડાદરા ગામથી વહેલાલ શાખા નહેરના સર્વિસ રોડથી કરોલી રોડ મારફતે નાની મોરાલી તરફ જઈ શકાશે.નાની મોરાલી-કડાદરા તરફ જતા વાહનચાલકો માટે નાની મોરાલીથી કરોલી રોડથી વહેલાલ શાખા નહેરના સર્વિસ રોડ થઈ કડાદરા ગામ તરફ જઈ શકાશે. આ બ્રિજ બંધ થવાને પગલે પોલીસને પણ અહીં બેરીકેટિંગ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે તો આગામી 16 સપ્ટેમ્બર સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે.











