જોકે, AMC માટે આ પાંચ મ્યુનિસિપાલિટીને અમદાવાદમાં ભેળવવી એટલી સરળ નહીં હોય. નવા ઉમેરાયેલા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરવા માટે AMCને ઘણા સંસાધનોની જરૂર પડશે. જેમાં પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ નેટવર્ક અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. આ માટે મોટા પાયે આર્થિક રોકાણ પણ કરવું પડશે.

અમદાવાદ, બુધવાર
અમદાવાદની ભૌગોલિક સીમાઓ સતત વિસ્તરી રહી છે અને ટૂંક સમયમાં તેમાં વધુ 5 નગરોનો સમાવેશ થવાની શક્યતા છે. રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદની આસપાસની પાંચ મ્યુનિસિપાલિટીને ભેળવી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટોચના સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાણંદ, મહેમદાવાદ, બારેજા, કલોલ અને દહેગામને AMCની હદમાં મર્જ કરવાનો પ્રસ્તાવ છે.
આ વિલીનીકરણનો સમયગાળો ઘણો મહત્ત્વનો છે કારણ કે જાન્યુઆરી 2026માં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની છે. જો આ પ્રસ્તાવ અમલમાં મુકાશે, તો અમદાવાદનો ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં નોંધપાત્ર વધારો થશે.
સંકલિત શહેરી વિકાસ: મુખ્ય હેતુ
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ કોઓર્ડિનેટેડ અર્બન ડેવલપમેન્ટ સુનિશ્ચિત કરવાનો છે. હાલમાં, આ વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ થયો છે, અને માળખાગત સુવિધાઓ તેમજ આવશ્યક સેવાઓ માટે વ્યવસ્થિત આયોજનની જરૂર છે. આ વિસ્તારો AMCમાં ભળી જવાથી માળખાગત વિકાસમાં સુધારો કરવામાં મદદ મળશે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સાણંદ અને કલોલમાં રેસિડેન્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ વિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સાણંદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું હબ બની ગયું છે અને ભવિષ્યમાં ત્યાં સેમિકન્ડક્ટર અને અન્ય સ્પેશિયલાઈઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ આવવાની શક્યતા છે. કલોલનો વિકાસ પણ સાણંદની જેમ ઝડપથી થયો છે, જ્યાં રેસિડેન્શિયલની સાથે સાથે ઈન્ડસ્ટ્રીયલ યુનિટ્સની સંખ્યા પણ વધી છે. સૂત્રોનું કહેવું છે કે આ મ્યુનિસિપાલિટીઝના વિકાસની ગતિ વધારવા માટે વધુ પ્રયાસો કરવા પડશે.
પડકારો અને નાણાકીય રોકાણ
જોકે, AMC માટે આ પાંચ મ્યુનિસિપાલિટીને અમદાવાદમાં ભેળવવી એટલી સરળ નહીં હોય. નવા ઉમેરાયેલા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરવા માટે AMCને ઘણા સંસાધનોની જરૂર પડશે. જેમાં પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, રોડ નેટવર્ક અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો સમાવેશ થાય છે. આ માટે મોટા પાયે આર્થિક રોકાણ પણ કરવું પડશે.
બીજી તરફ, આ વિસ્તારોના રહેવાસીઓને ભલે સારી સુવિધાઓ મળે, પરંતુ તેમના પર આર્થિક બોજ વધી શકે છે કારણ કે તેમને કદાચ વધારે મ્યુનિસિપલ ટેક્સ ચૂકવવા પડી શકે છે. આના કારણે શરૂઆતમાં લોકોનો વિરોધ પણ જોવા મળી શકે છે. તેથી, AMC ટેક્સ અંગે નિયંત્રિત વલણ અપનાવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
વહીવટી અને વ્યૂહાત્મક અમલીકરણ
આ ઉપરાંત, વહીવટી પડકારો પણ રહેલા છે. નવા વિસ્તારોનો ઉમેરો થતાં AMCને તેના વર્કફોર્સમાં વધારો કરવો પડશે અને નવી ઓફિસો પણ શરૂ કરવી પડશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો, નાણાકીય અમલીકરણ, વહીવટી ક્ષમતા અને લોકોના મંતવ્યોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું પડશે. 2020માં બોપલ અને ઘુમાનું મર્જર થયું હતું તેની પ્રક્રિયાથી મદદ મળશે, પરંતુ પ્રત્યેક વિસ્તારના પડકારો અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેથી, AMC એ અલગ-અલગ વિસ્તારો માટે ચોક્કસ રણનીતિ તૈયાર કરવી પડશે.











