જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 22 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં એક શક્તિશાળી મોનસૂન સિસ્ટમ સક્રિય રહેશે

ગાંધીનગર,મંગળવાર: ગુજરાત માટે આગામી દિવસોમાં ભારે પવન અને વરસાદ સાથે જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 22 જુલાઈથી 30 જુલાઈ સુધીમાં એક શક્તિશાળી મોનસૂન સિસ્ટમ સક્રિય રહેશે, જેના કારણે 2થી 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 9 થી 15 જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ની શક્યતા છે.તેમણે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં સર્જાતી ભારે સિસ્ટમ અને મોનસૂન ટ્રફ લાઇનમાં ફેરફાર રાજ્યમાં વરસાદ લાવશે. આ સમયે નર્મદા અને સાબરમતી જેવી નદીઓ બે કાંઠે વહેવાની શક્યતા છે.
22 થી 30 જુલાઈ: વધુ ભારે વરસાદની ચેતવણી
22 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યમાં વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ સમયગાળા દરમિયાન વિશિષ્ટ રીતે નર્મદા, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર ભારથી અતિભારે વરસાદ થશે.











