લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે.

દેશમાં આતંકવાદી ષડયંત્રના ખુલાસા વચ્ચે રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક પાર્ક કરેલી એક કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ એટલો ઉગ્ર હતો કે તેની તીવ્રતાને કારણે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં કરૂણ મોત થયા છે અને ૧૪થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસની ટીમ અને સુરક્ષા એજન્સીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના સાત વાહનો પહોંચ્યા હતા, જ્યારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી હતી.
પોલીસ દ્વારા વિસ્ફોટના કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા સંભવિત આતંકવાદી ષડયંત્રના ખુલાસાની પૃષ્ઠભૂમિમાં આ બ્લાસ્ટ થયો હોવાથી સુરક્ષા એજન્સીઓ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે. તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ મોટું આતંકવાદી કૃત્ય હતું.











