ચિદમ્બરમે ભારપૂર્વક કહ્યું કે, સરકાર નુકસાનની વિગતો પણ છુપાવી રહી છે. “મેં એક કૉલમમાં કહ્યું હતું કે નુકસાન બંને તરફથી થાય છે. હું સમજું છું કે ભારતને પણ નુકસાન થયું હશે. ખુલીને વાત કરો.”

નવી દિલ્હી, સોમવાર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પહેલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં થયેલા ઓપરેશન સિંદૂર અંગે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આતંકવાદીઓની ધરપકડ અને ઓળખ ન થવા પર પ્રશ્નો કર્યા છે અને સરકારને પૂછ્યું છે કે “કેવી રીતે માની લેવામાં આવ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા?”
ચિદમ્બરમના સરકાર પર સવાલો
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ચિદમ્બરમે જણાવ્યું કે, તેમને વિવિધ અધિકારીઓ પાસેથી અધૂરી માહિતી મળી રહી છે, પરંતુ પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી કે વિદેશ મંત્રી તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન નથી. તેમણે કહ્યું, “CDS સિંગાપોર જાય છે અને નિવેદન આપે છે, સેનાના ઉપ પ્રમુખ મુંબઈમાં નિવેદન આપે છે, ઇન્ડોનેશિયામાં નૌકાદળના જુનિયર અધિકારી નિવેદન આપે છે. પરંતુ આપણા પ્રધાનમંત્રી કે રક્ષા મંત્રી કે વિદેશ મંત્રી કોઈ નિવેદન કેમ નથી આપી રહ્યા?”
તેમના મતે સરકાર કદાચ “વ્યૂહાત્મક સ્તરે થયેલી કોઈ ભૂલ” છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે NIAની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા, પૂછ્યું કે “NIAએ અઠવાડિયામાં શું કર્યું? શું તેમણે આતંકવાદીઓની ઓળખ કરી? તેઓ ક્યાંથી આવ્યા હતા? આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ સ્થાનિક આતંકીઓ હતા. તમે આવું કેમ માની લીધું કે તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા? આ વાતનો કોઈ પુરાવો નથી.”
ચિદમ્બરમે ભારપૂર્વક કહ્યું કે, સરકાર નુકસાનની વિગતો પણ છુપાવી રહી છે. “મેં એક કૉલમમાં કહ્યું હતું કે નુકસાન બંને તરફથી થાય છે. હું સમજું છું કે ભારતને પણ નુકસાન થયું હશે. ખુલીને વાત કરો.”
ભાજપનો પલટવાર
કોંગ્રેસ નેતાની આ ટિપ્પણીઓ પર ભાજપે આકરો પ્રહાર કર્યો છે. ભાજપના IT હેડ અમિત માલવિયાએ કહ્યું, “એકવાર ફરી કોંગ્રેસે પાકિસ્તાનને જલ્દીથી ક્લીન ચિટ આપી દીધી. આ વખતે પહેલગામ આતંકવાદી હુમલા પછી.” તેમણે વધુમાં કહ્યું કે, “એવું કેમ થાય છે કે જ્યારે પણ આપણા દળો પાકિસ્તાન સમર્થિત આતંકવાદને પડકારે છે, ત્યારે કોંગ્રેસ ભારતનું વિપક્ષ હોવાને બદલે ઇસ્લામાબાદના વકીલની જેમ વાત કરવા લાગે છે.”
સંસદમાં ચર્ચા
આજે એટલે કે સોમવારે લોકસભામાં પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થશે. જ્યારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર મંગળવારે ચર્ચા થશે, જેના માટે નવ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ચર્ચામાં આતંકવાદ વિરુદ્ધ ભારતના સંદેશને દુનિયા સુધી પહોંચાડનારા બહુપક્ષીય પ્રતિનિધિમંડળોમાં સામેલ સાંસદો પણ ભાગ લે તેવી સંભાવના છે.











