ધારાશિવમાં રાષ્ટ્રીય સ્તરની મહિલા કુસ્તીબાજે પોતાના ત્રણ બાળકો સાથે ખીણમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે, જેમાં માતા સહિત ત્રણના મોત થયા છે અને એક બાળકનો બચાવ થયો છે.

છત્રપતિ સંભાજીનગરમાં બનેલી હ્રદયદ્રાવક ઘટના હજુ તાજી જ છે ત્યાં ધારાશિવ જિલ્લામાંથી વધુ એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ધારાશિવ જિલ્લાના ઐતિહાસિક નળદુર્ગ કિલ્લા પરથી ગુરુવારે રાષ્ટ્રીય સ્તરની મહિલા કુસ્તીબાજે પોતાનાં ત્રણ સંતાનો સાથે 100 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવ્યું હતું. આ કરુણ બનાવમાં મહિલા અને તેના બે સંતાનોનું કમનસીબ મોત નીપજ્યું હતું, જ્યારે અઢી વર્ષની નાની પુત્રી ગંભીર રીતે ઘવાતા હાલ સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર હેઠળ છે.
પહેલવાન અશ્વિની પોળની દુર્ઘટના
-
‘મહારાષ્ટ્રની વાઘણ’ તરીકે હતી ઓળખ: રાષ્ટ્રીય સ્તરની કુસ્તી સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ અને છ સિલ્વર મૅડલ મેળવનારી અશ્વિની મનોહર પોળ કુસ્તી જગતમાં ‘મહારાષ્ટ્રની વાઘણ’ તરીકે જાણીતી હતી.
-
પતિ અને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો: મૃતક અશ્વિનીના પિતા તાનાજી મોહિતેએ આક્ષેપ કર્યો હતો કે અશ્વિનીએ તેના પતિ અને સાસરિયાઓ દ્વારા અપાતા શારીરિક તથા માનસિક ત્રાસથી કંટાળીને આ અંતિમ પગલું ભર્યું છે.
-
પોલીસ ફરિયાદ અને ગુનો દાખલ: પિતાની ફરિયાદના આધારે નળદુર્ગ પોલીસ સ્ટેશનમાં અશ્વિનીના પતિ મનોહર, સસરા અંકુશ પોળ, સાસુ કાલિંદા તથા વિમલાબાઇ વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવા અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ (પ્રવૃત્ત કરવા) બદલ સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.










