આરોગ્ય વિભાગને જાણકારી મળી હતી કે અહીં સ્વચ્છતાનો અભાવ હોય છે : ગ્રાહકોને ટેબલ પર અપાતી સોસની બોટલમાં ફૂગ હોવા અંગે ફરિયાદ પણ મળી હતી

અમદાવાદ, શુક્રવાર : આજના સમયમાં જ્યારે જંક ફૂડનો ચલણ ખાસ કરીને યુવાનો અને બાળકોમાં ખૂબ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે આવા ફૂડ આઉટલેટ્સમાં હાઇજિન અને સ્વચ્છતાને લઈને ગંભીર બેદરકારી જોખમરૂપ બની શકે છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા જાણીતા બ્રાન્ડ ડોમિનોઝ પિત્ઝાના એકમને સીલ કરવાની ઘટના એ જ પ્રકારની ચેતવણીરૂપ ઘટના છે.
અમદાવાદના ઘાટલોડિયામાં કલાસાગર શોપિંગ સેન્ટરમાં આવેલા ડોમિનોઝ એકમમાં AMCના હેલ્થ વિભાગની કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગને જાણકારી મળી હતી કે અહીં સ્વચ્છતાનો અભાવ હોય છે. ગ્રાહકોને ટેબલ પર અપાતી સોસની બોટલમાં ફૂગ હોવા અંગે ફરિયાદ પણ મળી હતી. કેટલાક ગ્રાહકોએ સોસનો સ્વાદ બદલાઈ ગયો હોવાની પણ ફરિયાદ કરી હતી. જેના આધારે આરોગ્ય વિભાગે અહીં તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે ડોમિનોઝ પિત્ઝાના આ એકમમાં તપાસ કરતા ખાદ્ય પદાર્થો અસ્વચ્છ સ્થિતિમાં જોવા મળ્યા હતા.ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. જેના પગલે આ એકમ પર કાર્યવાહી કરવામાં આવી અને ડોમિનોઝ પિઝાનું એકમ સીલ કર્યું છે.











