જિલ્લા કલેક્ટરે બ્રિજના તૂટેલા ભાગને વધુ નુકસાન ન થાય તે માટે નિયંત્રિત રીતે તોડકામ કરવાની સૂચના આપી છે. તંત્ર હવે આ ઘટનાની વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

વડોદરા, ગુરૂવાર
પાદરાના મૂજપુર ખાતે ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ, આજે બીજા દિવસે પણ રેસ્ક્યુ અને તપાસ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ માર્ગ અને મકાન વિભાગ ની એક સિનિયર ઓફિસર્સની ટીમ ઉચ્ચ સ્તરે તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
ઝડપી બનેલી તપાસ અને રેસ્ક્યુ ઓપરેશન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશોને પગલે, આજે સવારથી ચીફ એન્જિનિયર સી. પટેલ અને એન. કે. પટેલ સહિત સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર કે.એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવા પણ તપાસમાં જોડાયા હતા. આ દુર્ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રએ સંયુક્ત રીતે શોધખોળના કાર્યને વધુ ગતિ આપી છે. વહેલી સવારે થયેલા ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળતાં, મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે. મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા તંત્રના ઓફિસર્સ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તંત્ર અને પોલીસ વિભાગએ આખી રાત ઘટનાસ્થળે ધામા નાખ્યા હતા.

રસાયણ ભરેલા વાહનોની શોધ અને પ્રદુષણ નિયંત્રણ
એવા ટેન્કર્સ અને વાહનોની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં કેમિકલ્સ ભરેલા હોઈ શકે છે. કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સર્જાય નહીં તે દિશામાં પણ પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઓફિસર્સએ પણ આજે સવારે સ્થળની વિઝિટ લીધી હતી. તૂટી પડેલા ભાગને વધુ નુકસાન ન થાય તે માટે કલેક્ટર દ્વારા જરૂર પડશે તો તેનું કંટ્રોલ્ડ ડિમોલિશન કરવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર હવે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે તેવા સંકેતો મળી રહ્યા છે.











