ગાંધીનગરમાં જમીન વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ: જમીન દલાલ પર જીવલેણ હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર!

હુમલા બાદ મહાદેવભાઈને તાત્કાલિક ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના જમણા હાથના કાંડે અને ડાબા પગની બીજી આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ કરી છે.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરમાં જમીન વિવાદને લઈ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખોરજના ગણેશ એક્ઝોટિકા બંગલોઝમાં રહેતા જમીન દલાલ મહાદેવભાઈ હીરાભાઈ ભરવાડ પર ચાર શખ્સોએ ઘાતક હુમલો કરતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલામાં મહાદેવભાઈના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે.

હુમલાની વિગતો
મહાદેવભાઈ તેમના ડ્રાઈવર મોહિત દેસાઈ સાથે ઝુંડાલ નર્સરીથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની સોસાયટીની બહાર જ અલ્પેશ હીરાભાઈ ભરવાડ, રવિ દેસાઈ અને અનિયો રબારી હાથમાં ધોકા અને લાકડીઓ સાથે ઊભા હતા.

જમીન વિવાદ બન્યો હુમલાનું કારણ
હુમલાખોરોએ મહાદેવભાઈને હારીજમાં આવેલી જમીનના વિવાદને લઈને ધમકી આપી હતી. આ જમીન મહાદેવભાઈએ ચાર મહિના પહેલા દિનેશભાઈ માનજીભાઈ ઓઝા પાસેથી ખરીદી હતી. અલ્પેશભાઈએ મહાદેવભાઈના જમણા હાથ પર ધોકો માર્યો હતો, જ્યારે રવિ દેસાઈએ તેમના ડાબા પગની બીજી આંગળી પર પ્રહાર કર્યો. અનિયા રબારીએ પણ પગે ધોકો માર્યો હતો.

ડ્રાઈવરને પણ ધમકી
હુમલામાં સામેલ ચોથો આરોપી ભોલુ રબારી એક ઇકો ગાડીમાંથી ઉતરીને ડ્રાઈવર મોહિતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચારેય આરોપીઓ તેમની ઇકો ગાડીમાં બેસીને ફરાર થઈ ગયા હતા. સદનસીબે, ડ્રાઈવર મોહિતભાઈને આ હુમલામાં કોઈ ઈજા થઈ નથી.

સારવાર અને પોલીસ ફરિયાદ
હુમલા બાદ મહાદેવભાઈને તાત્કાલિક ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના જમણા હાથના કાંડે અને ડાબા પગની બીજી આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ કરી છે. મહાદેવભાઈએ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!