મુંબઈ કોસ્ટલ રોડ: હવે રાત્રે નહીં સંભળાય ‘જય હો’ ની ધૂન, સ્થાનિકોની ફરિયાદ બાદ BMCનો મોટો નિર્ણય

મુંબઈના કોસ્ટલ રોડ પર વાગતી ‘જય હો’ ધૂન હવે 24 કલાક નહીં સંભળાય. બ્રીચ કેન્ડીના રહીશોની ઊંઘ હરામ થતા ફરિયાદ બાદ BMC એ મ્યુઝિકલ રોડ માટે નવો સમય નક્કી કર્યો છે.

મુંબઈ, બુધવાર
મુંબઈના વાહનચાલકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલો કોસ્ટલ રોડનો ‘મ્યુઝિકલ પેચ’ હવે તમને 24 કલાક રોમાંચ નહીં આપી શકે. બ્રીચ કેન્ડી પાસેના આ રસ્તા પર ગાડી ચલાવતી વખતે સંભળાતી ખાસ ધૂનથી આસપાસના લોકોને ભારે હાલાકી પડી રહી હતી. સ્થાનિક રહીશોની સતત ફરિયાદોને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ મોટો નિર્ણય લીધો છે. હવે આ મ્યુઝિકલ રોડ અમુક ચોક્કસ કલાકો માટે જ ચાલુ રહેશે.

કેવી રીતે વાગતી હતી ‘જય હો’ ની ધૂન?
ધર્મવીર સ્વરાજ રક્ષક છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર 12 ફેબ્રુઆરી 2026 ના રોજ આ અનોખો ‘મ્યુઝિકલ પેચ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ ટેકનોલોજી ખાસ હંગેરી દેશમાંથી લાવવામાં આવી હતી. રસ્તાની સપાટી પર ખાસ પ્રકારના ખાંચા બનાવવામાં આવ્યા છે. જ્યારે કોઈપણ ગાડી 70 થી 80 કિમી પ્રતિ કલાકની એકસમાન ઝડપે આ રસ્તા પરથી પસાર થાય, ત્યારે ટાયર અને રસ્તા વચ્ચે થતા ઘર્ષણને કારણે ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ નું પ્રખ્યાત ગીત ‘જય હો’ ની ધૂન વાગવા લાગે છે. તેનો મુખ્ય હેતુ ડ્રાઈવરોને સ્પીડ લિમિટ જાળવી રાખવા પ્રોત્સાહિત કરવાનો અને એક નવો ડ્રાઇવિંગ અનુભવ આપવાનો હતો.

સ્થાનિક લોકોની શું હતી ફરિયાદ?
ડ્રાઈવરો માટે આ અનુભવ ભલે મજેદાર હોય, પરંતુ બ્રીચ કેન્ડી વિસ્તારમાં રહેતા લોકો માટે તે માથાનો દુખાવો બની ગયો હતો. બ્રીચ કેન્ડી રેસિડેન્ટ્સ ફોરમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર આસપાસના 25 થી વધુ રહેણાંક બિલ્ડિંગમાં રાત-દિવસ આ ધૂનનો અવાજ ગુંજતો હતો. સતત આવતા અવાજને કારણે લોકોની, ખાસ કરીને વૃદ્ધોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. વાહનોની સતત અવરજવરને કારણે 24 કલાક આ ઘોંઘાટ ચાલુ રહેતો હતો.

BMC એ શું લીધો નિર્ણય?
રહીશોની ફરિયાદ મળ્યા પછી, BMC ના અધિકારીઓએ જાતે જઈને આસપાસના ઘરોમાં અવાજનું સ્તર (સાઉન્ડ લેવલ) ચેક કર્યું. તપાસમાં આ અવાજ 60 થી 65 ડેસિબલ વચ્ચે નોંધાયો હતો. જોકે આ અવાજ કાન ફાડી નાખે તેવો ન હતો, છતાં સતત આવતા અવાજથી લોકોની શાંતિ ભંગ થતી હતી. લોકોની સુવિધાને પ્રાથમિકતા આપતા BMC એ નીચે મુજબના નિર્ણયો લીધા છે:

નવો સમય: હવે આ મ્યુઝિકલ રોડ માત્ર સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ ઉપયોગમાં લઈ શકાશે.
રાત્રિ પ્રતિબંધ: સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 11 વાગ્યા સુધી આ મ્યુઝિકલ પેચ સંપૂર્ણપણે બંધ રહેશે.

કેવી રીતે અમલ થશે?: રાતના સમયે ગાડીઓ આ મ્યુઝિકલ પટ્ટા પરથી પસાર ન થઈ શકે તે માટે ત્યાં બેરિકેડ્સ લગાવી દેવામાં આવશે.

મુંબઈકરો માટે રાહતની વાત એ છે કે પ્રશાસને રસ્તા પરથી આ મ્યુઝિકલ સ્ટ્રીપ્સ કાયમી માટે હટાવી નથી, પરંતુ માત્ર તેના ઉપયોગનો સમય મર્યાદિત કર્યો છે. એટલે કે, તમે દિવસના સમયે હજુ પણ આ અનોખા રસ્તાની મજા માણી શકશો. BMC ના આ સંતુલિત અને ત્વરિત નિર્ણયથી બ્રીચ કેન્ડીના સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે અને તેઓ તંત્રની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!