સુરતમાં જ્વેલર્સની હત્યા બાદ લૂંટનો પ્રયાસ, દુકાનમાં ઘૂસી જ્વેલર્સ આશિષની ગોળી મારીને હત્યા, સચિન વિસ્તારમાં શ્રીનાથજી જવેલર્સની દુકાનનો બનાવ

સુરત, મંગળવાર
સુરતના સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઇરાદે ઘૂસેલા 4 જેટલા લૂંટારુઓએ જ્વેલર આશિષભાઈની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના આજે રાત્રે બની હતી. જોકે, લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો કારણ કે સ્થાનિક લોકોએ એક લૂંટારુને પકડી પાડીને તેને એટલો માર માર્યો હતો કે તેનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, 4 જેટલા લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યા હતા અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, તેમણે દુકાન માલિક આશિષભાઈ પર ગોળીબાર કર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમણે હિંમતભેર એક લૂંટારુને પકડી લીધો હતો. સ્થાનિકોના માર મારવાના કારણે તે લૂંટારુનું પણ મોત થયું હતું.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, અન્ય 3 લૂંટારુઓ ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. આ ઘટનાને પગલે પોલીસ પેટ્રોલિંગ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે ફરાર લૂંટારુઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.











