દહેગામ: જમીન ખેડવા ગયેલ ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલો, મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ દાખલ

ગાંધીનગરના દહેગામમાં જમીનના વિવાદને કારણે એક ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલો થયો. લાકડી અને દાતરડા સાથે ચાર લોકોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, જેમાં એક યુવકને હાથમાં ફ્રેક્ચર થયું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દહેગામ, શનિવાર
દહેગામ તાલુકાના બારીયાના છાપરા વિસ્તારમાં જમીન બાબતે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. અહીં પોતાની જમીન ખેડી રહેલા એક ખેડૂત પરિવાર પર ચાર લોકો દ્વારા લાકડી અને દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે. આ હુમલામાં 31 વર્ષીય ખેડૂત યુવકને જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચતા ફ્રેક્ચર થયું છે. આ સમગ્ર મામલે દહેગામ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હિરેનકુમાર અરવિંદભાઈ પટેલ, જેઓ વ્યવસાયે ખેડૂત છે, તેઓ શુક્રવારે બપોરે લગભગ 2:30 વાગ્યે તેમના પરિવારના સભ્યો સાથે બારીયાના છાપરા ખાતે આવેલી પોતાની જમીન પર ટ્રેક્ટર વડે ખેતીકામ કરવા ગયા હતા.

આ દરમિયાન તેમના ખેતરની બાજુમાં રહેતા શકીબેન દાનાજી ઠાકોર હાથમાં લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે હિરેનકુમાર અને તેમના પરિવારને ગાળો આપીને કહ્યું કે, “તમે લોકો આ જમીન કેમ ખેડો છો? આ જમીન અમારી છે.” હિરેનકુમારના પિતાએ તેમને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શકીબેન વધુ ઉશ્કેરાઈ ગયા અને હિરેનકુમારના જમણા હાથ પર લાકડીનો ફટકો મારી દીધો. મહિલાઓએ દાતરડા બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

આ ઘટના પછી શકીબેને બૂમો પાડીને કંચનબેન ગાભાજી ઠાકોર અને સંગીતાબેન દિલીપભાઈ ઠાકોરને બોલાવ્યા. આ બંને મહિલાઓ હાથમાં દાતરડું લઈને ઘટના સ્થળે દોડી આવી હતી. તેમણે કહ્યું કે, “દાનાજી ચેહરાજી ઠાકોરે અમને મોકલ્યા છે અને કહ્યું છે કે આ બધાને આજે જાનથી મારી નાખજો.” આ પછી, ત્રણેય મહિલાઓએ સાથે મળીને ખેડૂત પરિવારને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું.

પરિસ્થિતિ વણસતી જોઈને ગભરાઈ ગયેલા હિરેનકુમારના પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરવા 112 નંબર પર ફોન કર્યો. પોલીસનું નામ સાંભળતા જ તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
હુમલામાં ઘાયલ થયેલા હિરેનકુમારને તાત્કાલિક સારવાર માટે મમતા સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમના જમણા હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપીઓ શકીબેન દાનાજી ઠાકોર, કંચનબેન ગાભાજી ઠાકોર, સંગીતાબેન દિલીપભાઈ ઠાકોર અને દાનાજી ચેહરાજી ઠાકોર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને જી.પી. એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!