યુક્રેનને ટોમાહોક ક્રુઝ મિસાઇલો સપ્લાય કરવાના અમેરિકાના સંભવિત નિર્ણય પર રશિયાએ બુધવારે ગંભીર ચેતવણી આપી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ શાંત થવાના કોઈ સંકેતો નથી, ત્યારે અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુક્રેનને ટોમાહોક ક્રુઝ મિસાઇલો સપ્લાય કરવાના અમેરિકાના સંભવિત નિર્ણય પર રશિયાએ બુધવારે ગંભીર ચેતવણી આપી છે.
રશિયન સંસદની સંરક્ષણ સમિતિના વડા, આન્દ્રે કાર્તાપોલોવે RIA સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, જો અમેરિકા આ મિસાઇલો સપ્લાય કરશે, તો રશિયા તેમને હવામાં જ નષ્ટ કરી દેશે અને તેમના લોન્ચ પેડ્સ પર પણ હુમલો કરશે. તેમણે કહ્યું કે રશિયાનો પ્રતિભાવ “મક્કમ, અણધાર્યો અને અસમપ્રમાણ” હશે, અને તેઓ પડકાર આપનારાઓને નિશાન બનાવવાનો રસ્તો શોધી લેશે.
કાર્તાપોલોવના મતે, ટોમાહોક મિસાઇલો માત્ર મર્યાદિત માત્રામાં (ડઝનેક) જ પૂરી પાડી શકાશે, તેથી તે યુદ્ધના મેદાનમાં ખાસ ફેરફાર નહીં લાવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રશિયાને સીરિયાના અનુભવના કારણે આ મિસાઇલોની સંપૂર્ણ સમજ છે. જોકે, તેમણે ચેતવણી આપી કે જો કિવને આ મિસાઇલો મળે છે, તો તેમને છુપાવવી અશક્ય બની જશે, અને રશિયા ડ્રોન તથા મિસાઇલોથી લોન્ચ વાહનોનો નાશ કરશે. રશિયન નાયબ વિદેશ પ્રધાન સેરગેઈ ર્યાબકોવે વોશિંગ્ટનને આ નિર્ણય પર ગંભીરતાથી વિચારણા કરવા વિનંતી કરી છે, કારણ કે આ એક ખતરનાક પગલું સાબિત થઈ શકે છે.











