નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની ઘટનાને ‘નિંદનીય આતંકવાદી હુમલો’ જાહેર કરીને એક પ્રસ્તાવને મંજૂરી આપી છે.

કેન્દ્રીય મંત્રીમંડળે 10 નવેમ્બરના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટની ઘટનાને ‘નિંદનીય આતંકવાદી હુમલો’ જાહેર કરીને એક પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં, કેબિનેટે આ કાયરતાપૂર્ણ આતંકવાદી કાર્યવાહીની સખત નિંદા કરી હતી અને અસરગ્રસ્તોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી, તેમજ તેમના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
કેબિનેટે આ ઘટનાને રાષ્ટ્ર-વિરોધી તત્વોનું ષડયંત્ર ગણાવતા, આતંકવાદ પ્રત્યે ‘સંપૂર્ણ અસહિષ્ણુતા’ (Zero Tolerance) ની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ નિર્દેશો જાહેર કર્યા હતા કે આ ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરવામાં આવે. તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારો, તેમના સાથીઓ અને તેમને મદદ કરનારાઓની ઓળખ કરીને તેમને તાત્કાલિક કાયદાના દાયરામાં લાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે પોલીસે જૈશ-એ-મોહમ્મદ અને અન્સાર ગઝવત-ઉલ-હિંદ સાથે સંકળાયેલા એક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ ડૉક્ટરો સહિત આઠ શંકાસ્પદોની અટકાયત કરી હતી. આ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. વડા પ્રધાન મોદીએ પણ એલએનજેપી હોસ્પિટલ જઈને ઘાયલોની મુલાકાત લીધી હતી અને દોષિતોને સજા આપવાનો સંકલ્પ લીધો હતો.











