બંગાળમાં લોહીની હોળી: શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના PAની ગોળી મારીને ઘાતકી હત્યા, હુમલાખોરોએ વરસાવ્યું અંધાધૂંધ ફાયરિંગ

પશ્ચિમ બંગાળના મધ્યગ્રામમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ સ્કોર્પિયો કાર પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વાંચો સંપૂર્ણ વિગત.

કોલકાતા, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

સ્કોર્પિયો કારને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ
મળતી માહિતી મુજબ, આ લોહિયાળ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામમાં આવેલા દોહરિયા વિસ્તારમાં બની હતી. ચંદ્રનાથ રથ પોતાની સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક બાઈક પર આવેલા હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના કાર પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ઘટના બાદ ચંદ્રનાથ રથને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં કારના કાચ પર ગોળીઓના નિશાન સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે હુમલાની ભયાનકતા દર્શાવે છે.

શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ગણાતા હતા ચંદ્રનાથ
ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા. તેઓ માત્ર એક કર્મચારી જ નહીં પરંતુ શુભેન્દુ અધિકારીના અત્યંત વિશ્વાસુ અને નજીકના સાથી માનવામાં આવતા હતા. તાજેતરની ચૂંટણીઓ દરમિયાન પણ તેઓ ચૂંટણી પ્રચાર અને વહીવટી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમની હત્યાથી ભાજપમાં ભારે રોષ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

હુમલાખોરોની શોધમાં પોલીસની નાકાબંધી
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાખોરો નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવ્યા હતા જેથી તેમની ઓળખ છુપાવી શકાય. હાલમાં પોલીસે આખા વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. પોલીસ આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસી રહી છે જેથી હુમલાખોરોનું પગેરું મેળવી શકાય.

રાજકીય આક્ષેપબાજી: ભાજપે TMCને જવાબદાર ગણાવી
આ હત્યાકાંડ બાદ બંગાળનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ ઘટના માટે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપનું કહેવું છે કે ટીએમસી હવે હિંસા પર ઉતરી આવી છે અને ચૂંટણીમાં હારના ડરથી ભાજપના કાર્યકરો અને નેતાઓના નજીકના લોકોની હત્યા કરાવી રહી છે. જોકે, TMC એ આ આરોપોને ફગાવી દીધા છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. એક વરિષ્ઠ નેતાના PAની આ રીતે જાહેરમાં હત્યા થવી એ સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ કેસમાં ગુનેગારોને ક્યારે પકડી પાડે છે અને આ હત્યા પાછળનું અસલી કારણ શું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!