હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત અને અન્ય ભારતીયો ઘાયલ થતા, ભારતે ઈરાન સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પર થયેલા જીવલેણ હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થતા સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા ભારત સરકારના વિદેશ મંત્રાલયે મંગળવારે ઈરાની રાજદ્વારીઓને બોલાવીને આકરો ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે. બેઠકમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન (DCM) મોહમ્મદ જાવદ હુસેની સહિતના અધિકારીઓ સામેલ હતા.
હુમલાની વિગત: શું બની ઘટના?
અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ માર્ગમાંથી પસાર થઈ રહેલા બે ટેન્કરો, ‘મોમ્બાસા’ અને ‘અલ બાહિયા’ પર હુમલો કરવામાં આવ્યો હતો.
-
જાનહાનિ: ‘મોમ્બાસા’ ટેન્કર પર થયેલા હુમલામાં એક ભારતીય ક્રૂ મેમ્બરનું મોત થયું છે.
-
ઘાયલોની સ્થિતિ: આ હુમલામાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે. ઘાયલોમાં કુલ છ ભારતીય અને બે યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે.
UAE ની પ્રતિક્રિયા અને આંતરરાષ્ટ્રીય ચિંતા
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સંરક્ષણ મંત્રાલયે પણ આ ઘટનાની સખત નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલા બાદ બંને ટેન્કરોમાં આગ લાગી હતી, જેને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી. UAE એ આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે, જે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા માટે મોટું જોખમ છે.
ભારતનું આક્રમક વલણ
ભારત સરકારે ઈરાન સામે સખત વિરોધ નોંધાવતા પોતાના નાગરિકોની સુરક્ષા અને આવા હુમલાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી માર્ગો પર થતા આવા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે પડકારરૂપ બની રહ્યા છે.











