સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસે આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કડક અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે વધુ એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં મંદિરે દર્શનાર્થે જઈ રહેલી એક મહિલાને ગાયે શિંગડે ચડાવતા તેને પેટના ભાગે 40 જેટલા ટાંકા આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે.
ઘટનાની વિગત
સરગાસણના શાંતિનિકેતન પ્રમુખ ઉપવન પાસેના મંદિરે દર્શન કરવા જઈ રહેલા 52 વર્ષીય મીનાક્ષીબેન ભરતભાઈ પટેલને એકાએક એક રખડતી ગાયે અડફેટે લીધા હતા. ગાયે તેમને શિંગડે ઉંચકીને નીચે પછાડતા પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્ર્રસ્ત મીનાક્ષીબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબો દ્વારા તેમના પેટના ભાગે 40 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
તંત્રની કામગીરી પર સવાલ
નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે “નવી ઢોર નિયંત્રણ પોલીસ” અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 24 કલાકની કામગીરીનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કામગીરી માત્ર કાગળ પર જ છે. વાસ્તવિકતામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને તંત્ર આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં, રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે રખડતા ઢોર રસ્તા પર બેફામ રીતે ફરતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.
લોકોની માંગ
સ્થાનિકોએ મહાનગરપાલિકા પાસે આ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કડક અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. “માત્ર કાગળ પર નિયમો બનાવવાને બદલે, તંત્રએ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું જોઈએ,” તેમ એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું. લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અસરકારક નીતિઓ અને તેના અમલીકરણની તાતી જરૂર છે.










