આતંકી હુમલા પછી ભારતનો પાકિસ્તાન સામે ક્રિકેટ બોયકૉટ : બટ્ટે કહ્યુ વર્લ્ડ કપમાં પણ ન રમો

પૂર્વ પાકિસ્તાની કેપ્ટન સલમાન બટ્ટે ભારતને ચેલેન્જ ફેંકી છે કે જો વાસ્તવમાં રાષ્ટ્રવાદ છે, તો વર્લ્ડ કપ સહિત કોઇપણ ICC ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન સામે ન રમે

ભારતનો પાકિસ્તાન સામે ક્રિકેટ બોયકૉટ

મુંબઈ, મંગળવાર : પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં ભારતીય લિજેન્ડ ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે મેચ રદ કરી દેવામાં આવી. પૂર્વ પાકિસ્તાની કેપ્ટન સલમાન બટ્ટે ભારતને ચેલેન્જ ફેંકી છે કે જો વાસ્તવમાં રાષ્ટ્રવાદ છે, તો વર્લ્ડ કપ સહિત કોઇપણ ICC ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન સામે ન રમે. બટ્ટે કહ્યું કે ચાર-પાંચ ખેલાડીઓએ સમગ્ર ટીમને પ્રભાવિત કરી છે અને આ દેશની સાખનો મુદ્દો બની ગયો છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે, ભારતીય ખેલાડીઓએ ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે, આયોજકોએ મેચ રદ કરી દીધી. ભારતના આ પગલાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું. તેના એક ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે યુટ્યુબ પર આ અંગે વાત કરી.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને પછી પાકિસ્તાની સેનાએ પણ વળતો જવાબ આપ્યો. આમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો. ત્યારથી, ભારતમાં દરેક જગ્યાએ પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, શિખર ધવને આ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી આપી હતી. ધવન ઉપરાંત, સુરેશ રૈના, યુવરાજ સિંહ, ઇરફાન અને યુસુફ પઠાણે પણ રમવાનો ઇનકાર કર્યો હતો.

ભારતના આ પગલાં બાદ પાકિસ્તાન ખૂબ જ અકળાયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ભારત વિરુદ્ધ કેટલીક વાતો કહી છે અને વચન પણ માંગ્યું છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘આખી દુનિયા તેમના વિશે વાત કરી રહી છે. તે સમગ્ર ક્રિકેટ જગત અને ચાહકોને શું સંદેશ આપવા માંગે છે? તમે શું સાબિત કરવા માંગો છો? વચન આપો કે હવે તમે વર્લ્ડ કપમાં પણ અમારી સામે નહિ રમો, તેમજ કોઈપણ ICC ટુર્નામેન્ટમાં અમારી સામે ન રમશો.’સલમાન બટ્ટે આ અંગે વધુમાં કહ્યું કે, ‘અમે જાણીએ છીએ કે દરેકનું પોતાનું સ્થાન હોય છે. પરંતુ હવે જ્યારે તમે બે બાબતોને જોડી રહ્યા છો, તો પછી કોઈપણ સ્તરની ટુર્નામેન્ટમાં અમારી સામે ન રમશો, ઓલિમ્પિક ગેમ્સમાં પણ નહીં. કૃપા કરીને આવું કરજો જ. હું આ જોવા માંગુ છું. હવે આ સાખની બાબત બની ગઈ છે અને હું જોવા માંગુ છુ કે તમારામાં કેટલો રાષ્ટ્રવાદ છે.’સલમાને અન્ય ભારતીય ખેલાડીઓ વિષે વાત કરતા કહ્યું કે ટીમના ચાર કે પાંચ ખેલાડીઓએ બાકીના ખેલાડીઓને પ્રભાવિત કર્યા હતા અને તેઓ આ વાત નથી સમજી શકતા. આ કેવી માનસિકતા છે? હું પણ આ સમજી શકતો નથી. નિર્ણયો કોણ લઈ રહ્યું છે? ચાર-પાંચ ખેલાડીઓએ ન રમવાનો નિર્ણય લીધો અને તેમના કારણે બાકીના ખેલાડીઓ મેચ રમી શક્યા નહીં. જે રમવા માંગતા હતા તેઓ દબાણમાં આવી ગયા.’

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!