પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીરે પાકિસ્તાની સમુદાયને સંબોધિત કરતી વખતે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું.

નવી દિલ્હી,રવિવાર: અમેરિકા મુલાકાતે આવેલા પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ સૈયદ અસીમ મુનીરે પાકિસ્તાની સમુદાયને સંબોધિત કરતી વખતે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. તેમણે કહ્યું કે ભારત પોતાને ‘વિશ્વગુરુ’ તરીકે રજૂ કરવા માંગે છે, પરંતુ વાસ્તવમાં એવું કંઈ નથી. અસીમ મુનીરે ભારત દ્વારા સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવા પર ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે, તો પાકિસ્તાન તેને દસ મિસાઇલોથી ઉડાવી દેશે. ફિલ્ડ માર્શલ મુનીરે ફ્લોરિડાના ટામ્પામાં પાકિસ્તાની સમુદાયના એક ઉદ્યોગપતિ દ્વારા આયોજિત બ્લેક-ટાઈ ડિનર દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
અસીમ મુનીરે કહ્યું, ‘અમે ભારત દ્વારા સિંધુ નદી પર બંધ બનાવવાની રાહ જોઈશું, અને જ્યારે તેઓ આવું કરશે, ત્યારે અમે તેને દસ મિસાઇલોથી નાશ કરીશું. સિંધુ નદી ભારતની ખાનગી મિલકત નથી. અલહમદુલિલ્લાહ, અમારી પાસે મિસાઇલોની કોઈ કમી નથી.’ મુનીરે ભારતીય ગુપ્તચર એજન્સી RAW પર આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ વૈશ્વિક ચિંતાનો વિષય છે. પાકિસ્તાની આર્મી ચીફે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ RAWનો હાથ હોવાનો આરોપ લગાવ્યો.
મુનીરે ભારત પર યુદ્ધ ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો
અસીમ મુનીરે કતારમાં આઠ ભારતીય નૌકાદળ અધિકારીઓની ધરપકડ અને કુલભૂષણ જાધવ સાથે સંબંધિત ઘટનાઓને RAW સાથે પણ જોડી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાને ભારતની ભેદભાવપૂર્ણ અને દંભી નીતિઓ સામે સફળ રાજદ્વારી લડાઈ લડી છે. ભારતના આક્રમણથી આપણા દેશની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન થયું છે અને નિર્દોષ નાગરિકો શહીદ થયા છે. આ આક્રમણથી આ પ્રદેશ યુદ્ધની અણી પર આવી ગયો, જ્યાં એક નાની ભૂલ દ્વિપક્ષીય સંઘર્ષનું કારણ બની શકે છે.’











