ગાંધીનગરમાં ઝડપાયું કોલ સેન્ટર કૌભાંડ, મોટા માથાને બચાવવામાં પોલીસ લાગી હોવાના આક્ષેપ

ગાંધીનગર પોલીસે ડભોળામાં એક ફાર્મ હાઉસમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું. 11 લેપટોપ અને 5 મોબાઈલ સાથે 4 આરોપીઓની ધરપકડ થઈ. પણ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ફાર્મ હાઉસના માલિક કેમ બચી ગયા? જાણો સમગ્ર કેસની વિગતો અને પોલીસની શંકાસ્પદ ભૂમિકા.

ગાંધીનગર, બુધવાર
ગુજરાત પોલીસે તાજેતરમાં ડભોળા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફાર્મ હાઉસમાં દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. જોકે, આ કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે આરોપીઓની ધરપકડ બાદ પણ આ કોલ સેન્ટર ચલાવનારા કેટલાક મુખ્ય સૂત્રધાર અને ફાર્મ હાઉસના માલિકને બચાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

આ કામગીરી ગાંધીનગર LCB-2ની ટીમે 26 જુલાઈના રોજ બાતમીના આધારે હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે મેદરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં કેટલાક લોકો અમેરિકન નાગરિકો સાથે ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે. આ લોકો લેપટોપ પર કોલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકન નાગરિકોને કોલ અને મેસેજ કરતા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ અમેઝોન મારફતે મોકલાયેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવીને છેતરપિંડી આચરતા હતા.

દરોડા દરમિયાન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. જેમાં ઉત્તર પ્રદેશના આર્યમાન સિંગ ઉર્ફે ઠાકુર, મહારાષ્ટ્રના પુણેના પ્રસાદ ઉર્ફે પપ્પુ ભગત, સનોજલાલ ઉર્ફે સેન્ડી લોપઝ અને એન્જેલા ગાયકવાડનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી 11 લેપટોપ, 5 મોબાઈલ ફોન, 2,900 રોકડા અને નેટવર્કના સાધનો સહિત કુલ 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય 3 લોકોના નામ સામે આવ્યા. જેમાં નિર્મિત રાજેન્દ્રભાઈ શાહ, નીલ પટેલ અને ભાવાભાઈનો સમાવેશ થાય છે. ભાવાભાઈને રસોઈયા તરીકે રાખવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપી આર્યમાન સિંગે જણાવ્યું કે તેને નિર્મિત શાહ અને નીલ પટેલે જ આ ફાર્મ હાઉસમાં લાવીને કોલ સેન્ટર શરૂ કરાવ્યું હતું અને તેને મહિને 40,000 કમિશન આપવાનું વચન આપ્યું હતું. આ લોકોએ અમેઝોનના કોઈ કર્મચારી પાસેથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવ્યો હતો.

આ કેસમાં સૌથી શંકાસ્પદ બાબત એ છે કે, આટલું મોટું કૌભાંડ જે જગ્યાએ ચાલતું હતું, તે ફાર્મ હાઉસના માલિકનું નામ ફરિયાદમાં ક્યાંય પણ લખવામાં આવ્યું નથી. સામાન્ય રીતે, ફાર્મ હાઉસના માલિકની જાણ બહાર આ પ્રકારનું ગેરકાયદેસર કામ કરવું લગભગ અશક્ય છે. તેમ છતાં, પોલીસે આ ફાર્મ હાઉસના માલિક સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ એક ગંભીર મુદ્દો છે અને તેના પરથી એવું અનુમાન લગાવી શકાય કે આ કેસમાં ઉચ્ચ વર્ગના કોઈ વ્યક્તિનો હાથ હોઈ શકે છે જેને બચાવી લેવામાં આવ્યો છે.

આ સમગ્ર કૌભાંડમાં આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી થઈ છે. આરોપીઓ અમેરિકન નાગરિકોને ડરાવીને તેમની પાસેથી ડોલર ગિફ્ટ કાર્ડ મારફતે ખરીદાવીને હવાલ એજન્સી દ્વારા ભારતમાં મંગાવતા હતા. આ પ્રકારના કોલ સેન્ટરો મોટાભાગે બહારના રાજ્યોમાંથી તાલીમબદ્ધ અને અંગ્રેજી બોલી શકે તેવા માણસોને રાખીને ચલાવવામાં આવે છે. આ કેસમાં ફાર્મ હાઉસના માલિક અને અન્ય મુખ્ય આરોપીઓ પર પોલીસની કાર્યવાહી ન થતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!