ભાજપમાં કેપ્ટનનો જીવ ગૂંગળાયો? કોંગ્રેસના વખાણ કરી ઘરવાપસીના આપ્યા સંકેત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ભાજપની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના વખાણ કર્યા છે. શું કેપ્ટન ફરી કોંગ્રેસમાં જોડાશે? જાણો તેમના નિવેદનથી પંજાબના રાજકારણમાં શા માટે ગરમાવો આવ્યો.

ચંદીગઢ, રવિવાર
પંજાબના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહે એક એવું નિવેદન આપ્યું છે, જેના કારણે તેમના કોંગ્રેસમાં પાછા ફરવાની અટકળોએ જોર પકડ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભાજપનો અભિગમ ખૂબ જ કઠોર છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં વધુ સાંભળવામાં આવતું હતું અને નિર્ણયોમાં સલાહ-સૂચન લેવાતા હતા.

ભાજપની ટોપ-લેવલ પોલિસી પર કેપ્ટનનો પ્રહાર
કેપ્ટન અમરિંદર સિંહ, જેઓ હાલમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે, તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપની કાર્યશૈલી પર ખુલીને નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, પંજાબ એક અલગ રાજ્ય છે. ભાજપ આખા દેશમાં સારું પ્રદર્શન કરી રહી છે, પણ પંજાબમાં કેમ નિષ્ફળ જાય છે? કારણ કે અહીંના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની સલાહ લેવાતી નથી. નિર્ણયો સીધા ઉપરથી લેવામાં આવે છે.

તેમણે કોંગ્રેસ સાથે સરખામણી કરતાં કહ્યું, કોંગ્રેસમાં પણ નિર્ણયો તો હાઈકમાન્ડ જ લેતું હતું, પરંતુ તેઓ ધારાસભ્યો અને સાંસદો જેવા સ્થાનિક નેતાઓ પાસેથી સૂચનો માંગતા હતા. ભાજપમાં મને નથી લાગતું કે કોઈએ ક્યારેય કંઈ પૂછ્યું હોય. કેપ્ટનનું આ નિવેદન 2027માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે.

શું કેપ્ટન કોંગ્રેસને યાદ કરી રહ્યા છે?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોંગ્રેસ પાર્ટીને યાદ કરે છે, ત્યારે તેમણે ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો. તેમણે કહ્યું, ના, હું કોંગ્રેસને નહીં, પરંતુ તેની સિસ્ટમને યાદ કરું છું. ત્યાં અનુભવી નેતાઓની વાત સાંભળવામાં આવતી હતી અને બધાના મંતવ્યોને મહત્ત્વ અપાતું હતું. મને ભાજપની કાર્યપદ્ધતિ થોડી કડક લાગે છે. ભલે તેમણે કોંગ્રેસમાં પાછા જવાની વાતને નકારી કાઢી હોય, પરંતુ તેમના શબ્દોએ રાજકીય વર્તુળોમાં એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

કેપ્ટનની રાજકીય સફર
ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહ બે વખત કોંગ્રેસ તરફથી પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2021માં, તેમણે ગાંધી પરિવાર (સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી) સાથેના મતભેદોને કારણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. ત્યાર બાદ તેમણે પંજાબ લોક કોંગ્રેસ (PLC) નામની પોતાની પાર્ટી બનાવી હતી અને 2022માં તેનું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું. હવે, ભાજપમાં જોડાયાના થોડા વર્ષોમાં જ તેમનો આ મોહભંગ પંજાબના રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!