દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને સોંપવામાં આવી છે

દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ધમાકાની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને સોંપવામાં આવી છે. આ તપાસમાં એક ચોંકાવનારો ‘વ્હાઇટ કોલર ટેરર’ મોડ્યુલ સામે આવ્યો છે, જે કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલો છે. ધમાકાના થોડા કલાકો પહેલાં જ, પોલીસે ત્રણ ડૉક્ટરો સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી અને ૨,૯૦૦ કિલો વિસ્ફોટક જપ્ત કર્યો હતો.
આ મોડ્યુલના તાર જૈશ-એ-મોહમ્મદ અને અન્સાર ગજવત-ઉલ-હિંદ સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં ૬ ડૉક્ટરો સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામમાં ડો. મોહમ્મદ ઉમર (મુખ્ય કાવતરાખોર, અલ-ફલહ મેડિકલ કોલેજ), ડો. આદિલ રાઠર (MBBS, GMC શ્રીનગર), અને ડો. મુઝમ્મિલ (અસિસ્ટન્ટ પ્રોફેસર, અલ-ફલહ યુનિવર્સિટી) મુખ્ય છે. ડો. મુઝમ્મિલના ભાડાના મકાનમાંથી જ ૨,૯૦૦ કિલો વિસ્ફોટક અને હથિયારો મળી આવ્યા હતા.
ડો. ઉમર જ વિસ્ફોટ સમયે કારમાં સવાર હતો અને તેણે આત્મઘાતી હુમલો કર્યો હોવાની શંકા છે, જેની DNA ટેસ્ટ દ્વારા પુષ્ટિ થશે. આ મોડ્યુલના સભ્યો ટેલિગ્રામ ચેનલ્સ અને ક્રિપ્ટોકરન્સી દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સાથે જોડાયેલા હતા અને ફંડિંગ મેળવતા હતા. આ ઉપરાંત, લખનઉની ડો. શાહીન અંસારી અને તેના ભાઈ પરવેઝ અંસારીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેની કારમાંથી હથિયારો મળી આવ્યા હતા.











