અયોધ્યા રામ મંદિર કેસ પરના તેમના તાજેતરના નિવેદનને લઈને ઊભા થયેલા વિવાદ પર પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડે ગુરુવારે સ્પષ્ટતા રજૂ કરી છે

અયોધ્યા રામ મંદિર કેસ પરના તેમના તાજેતરના નિવેદનને લઈને ઊભા થયેલા વિવાદ પર પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડે ગુરુવારે સ્પષ્ટતા રજૂ કરી છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાબરી મસ્જિદનું નિર્માણ જ મૂળભૂત રીતે ‘અપવિત્ર કાર્ય’ હતું, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.
‘ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલતા જસ્ટિસ (નિવૃત્ત) ચંદ્રચૂડે જણાવ્યું કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને સંદર્ભથી સંપૂર્ણપણે અલગ કરી દેવાયું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અયોધ્યા કેસનો નિર્ણય આસ્થાના આધારે નહીં, પરંતુ પુરાવા અને કાયદાકીય સિદ્ધાંતોના આધારે લેવામાં આવ્યો હતો.
પૂર્વ CJIએ ભારપૂર્વક કહ્યું કે બહુમતી લોકોએ ૧,૦૪૫ પાનાનો લાંબો ચુકાદો વાંચ્યો નથી અને માત્ર સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમણે ચુકાદામાં સમાવિષ્ટ પુરાતત્વીય તથ્યોનો ઉલ્લેખ કર્યો કે મસ્જિદની નીચે એક મંદિર હતું, જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે જ્યારે પુરાતત્વીય પુરાવાઓ દ્વારા ઇતિહાસ સ્થાપિત થઈ ચૂક્યો છે, ત્યારે તેનાથી આંખો બંધ કરી શકાય નહીં. તેઓ તે પાંચ ન્યાયાધીશોની બેંચનો ભાગ હતા, જેણે નવેમ્બર ૨૦૧૯માં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને મુસ્લિમોને મસ્જિદ નિર્માણ માટે અન્ય સ્થળે પાંચ એકર જમીન આપવાનો નિર્દેશ આપ્યો હતો.










