૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મો અને અનેક જાણીતા આલ્બમ્સને સંગીતથી સજાવનાર ખ્યાતનામ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં નિધન થયું છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સંગીત ક્ષેત્રના દિગ્ગજ અને જાણીતા નામ ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં ૨ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે અવસાન થયું છે. ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર ગૌરાંગ વ્યાસના નિધનથી સમગ્ર કલા જગતમાં અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
સંગીતનો વારસો અને અમૂલ્ય યોગદાન
-
વારસાગત સંગીત: જાણીતા સંગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસને સંગીતના સૂર વારસામાં મળ્યા હતા. તેમણે પિતાની માફક પોતાની અલગ રાહ કંડારીને ગુજરાતી સંગીત જગતમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
-
ફિલ્મો અને યાદગાર રચનાઓ: ‘ભવની ભવાઈ’, ‘લાખો ફુલણજી’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ જેવી અનેક જાણીતી ફિલ્મોમાં તેમનું સંગીત લોકપ્રિય રહ્યું છે. ફિલ્મ સંગીત ઉપરાંત તેમણે સુગમ સંગીત, લોકસંગીત, રાસ-ગરબા અને ૫૦૦થી વધુ ગીત-ગઝલની રચનાઓમાં શ્રેષ્ઠ સંગીત આપ્યું છે.
-
ધાર્મિક અને લોકપ્રિય આલ્બમ્સ: ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’ અને ‘પ્રાચીન પ્રભાતિયાં’ જેવા આલ્બમ્સ આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.











